નવસારીમાં 'મહા' વાવાઝોડાની અસર, બોરસી માછીવાડ ગામે 25થી વધુ ઘરના પતરાના શેડ ઉડ્યા
abpasmita.in | 02 Nov 2019 11:25 AM (IST)
ગુજરાતમાં મહા વાવાઝોડાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
નવસારી: ગુજરાતમાં મહા વાવાઝોડાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પવન સાથે વરસાદી વાવાઝોડાને કારણે ઘરના છાપરા ઉડયા છે અને માછીમારોએ પોતાની વસાહતોમાંથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. નવસારી નજીક મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. નવસારીના બોરસી માછીવાડ ગામે દરિયા કિનારા આસપાસ રહેતા 25થી વધુ માછીમારોના ઘરના પતરાના શેડ પવનના કારણે ઉડી ગયા છે. માછીમારો સ્વખર્ચે શેડ ઉભા કરીને રહેતા હતાં. જોકે શેડ ઉડી જતા હવે માછીમારોને ના છૂટકે સ્થળાંતર કરવું પડ્યું છે. આ તરફ દરિયા કિનારે માછલી સૂકાવા માટે બનાવેલા મંડપમાં પણ પાણી વળતા સૂકી માછલીઓને નુકસાન થયું છે. વહીવટીતંત્ર નુકસાની અંગે સાવ અજાણ જ જોવા મળ્યું છે. નવસારી જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. મોડી રાતથી નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. નવસારી શહેરમાં રાત્રે 12થી સવારના 6 વાગ્યા સુધીમાં 13મીમી વરસાદ પડ્યો હતો.