પોરબંદરઃ જિલ્લાનના બગવદર ગામે સગીર વયની ભત્રીજી પર હવસખોરે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.


સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત 26મી સપ્ટેમ્બરના રોજ તે અને તેની પત્ની કોઈ કામથી બહારગામ ગયા હતા અને તેમની 15 વર્ષીય દીકરી ઘરે હતી. દરમિયાન બપોરના સમયે સગીરા મકાન પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં બળતણ કાપવા ગઈ હતી. દરમિયાન 51 વર્ષીય મોટા બાપા એટલે કે ફરિયાદીનો મોટોભાઈ ત્યાં આવ્યો હતો અને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં કોઇને આ અંગે વાત કરશે, તો મારી નાંખવાની ધમકી આપી હતી.

આ ઘટનાના બીજા દિવસે સગીરાએ પેટમાં દુઃખતું હોવાનું જણાવ્યું હતું. જેથી તેને પોરબંદરની લેડી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં શારીરિક તપાસમાં સગીરા પર બળાત્કાર થયું હોવાનું સામે આવતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પૂછપરછમાં સગીરાએ તેના મોટાબાપાએ બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું.

સગીરાના પિતાએ મોટાભાઈ સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આરોપીની ધરપકડ કરી હતી. હવસખોરે પત્નીનું મોત થતાં બીજા લગ્ન કર્યા છે. બીજી પત્ની સાથે એક દીકરીને લઈને આવી હતી. તેમજ લગ્ન પછી પુત્રનો જન્મ થયો હતો. આ નરાધમે ગત 2014માં સાવકી પુત્ર પર પણ બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ બે વર્ષ જેલમાં પણ રહ્યો હતો.