ગાંધીનગર:  ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી અંગે અટકળો શરૂ થઇ ગઇ છે. આવતીકાલે બપોરે કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે અને તેમાં પક્ષના નવા નેતાને ચૂંટી કાઢવામાં આવશે. ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે.  ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે. કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી. બી એલ સંતોષ રુટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત આવ્યા છે. 


હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને તેમણે જણાવ્યું હતું કે, મોવડી મંડળ નક્કી કરશે.


ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે આટલા નામો ચર્ચામાં


એબીપી અસ્મિતાને મળેલી જાણકારી પ્રમાણે, ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેંદ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું નામ ચર્ચામાં છે. દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલ, ગોરધન ઝડફિયાનું  નામ પણ ચર્ચામાં છે. 


વિજયભાઇ રૂપાણીએ શું કહ્યું


વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.  રૂપાણીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. 


વજુભાઈ વાળાએ શું કર્યો દાવો


 


વજુભાઈ વાળાએ એબીપી અસ્મિતા પર દાવો કર્યો કે, મીડિયામાં જેની ચર્ચા ચાલે છે તેના કરતાં ચોંકાવનારું નામ આવશે. નવા મુખ્યમંત્રી કોણ તે અંગે કોઈએ વિચાર્યું નહીં હોય તેવું નામ આવશે.


 


રૂપાલાએ શું કહ્યું









રૂપાલાએ રૂપાણીના રાજીનામા બાદ કહ્યું કે, નવા મુખ્યમંત્રી અંગે આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડી જશે. તે સિવાય તેમણે કશું કહેવાનું ટાળ્યું હતું.