અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે શુક્રવારે સાંજે થયેલી અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. જેમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાનો પણ સમાવેશ થાય છે. હવાઈ માર્ગથી શહીદ જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ લાવવામાં આવ્યો હતો.  શહીદ વીર મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટથી વિરાટનગર તેમના  નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો. જ્યાં વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. શહીદ વીરનોનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લાગ્ય હતા. શહીદને સલામ આપવા તેમના પત્ની પહોંચતા ત્યાં હાજર સૌ કોઈની આંખો આંસુથી ભીંજાઈ હતી. સંતાનનું મુખ જુએ તો પહેલા જ અનંતની યાત્રાએ મહિપાલસિંહ વાળા નિકળ્યા છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  શહીદ મહિપાલસિંહ વાળાને શ્રધ્ધાંજલી આપી હતી. 




દેશની રક્ષા માટે પોતાનો જીવ આપી દેનાર આ જવાનની શહીદીથી આખું મોજીદડ ગામ કંપી ઉઠ્યું છે. પરિવારજનોની આંખોમાંથી આંસુઓ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઘરે પહોંચ્યા હતાં. 


 



વિરાટનગર નિવાસસ્થાને હિન્દુ વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમ દર્શન માટે પાર્થિવદેહને ચોગાનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વિરાટનગર રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ  શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય પાયલ કૂકરાણી,અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ શહિદ મહિપાલસિંહને શ્રદ્ધાંજલી આપી હતી. આ ઉપરાંત કોંગ્રેસ નેતા મનિષ દોશી અને શૈલેષ પરમાર સહિતના આગેવાનોએ જવાનને અંતિમ વિદાઈ આપી હતી.


કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન શહીદ થયા


જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. આતંકીઓ વિરુદ્ધ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોએ પણ સામે કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં સુરક્ષા દળના ત્રણ જવાન ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.