અમદાવાદ: ગુજરાતમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભારે પવન અને  ગાજવીજ સાથે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.  

Continues below advertisement

હવામાન વિભાગ દ્વારા  ગીર સોમનાથ, દીવ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યમ વરસાદની આગાહી ભરૂચ, સુરત, નવસારી અને  ભાવનગરમાં કરવામાં આવી છે.   

અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી,જામનગર, રાજકોટ, બોટાદ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, નર્મદા, તાપી અને  ડાંગમાં  હળવા તેમજ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

Continues below advertisement

અમદાવાદમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને પગલે અખબારનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે નાગરિકો માટે ફ્લેટની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. શહેરમાં ચારેકોર ગટરોના ગંદા પાણી ઉભરાયા હતા. બોપલ-આંબલી રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. ગટરના પાણી બેક મારતા માર્ગો પર પાણી ભરાયા હતા.

અઢી કલાકના વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાખી હતી. અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વેજલપુર, ઈસનપુર, શેલા, શીલજ, બોપલ, સોલા, ગોતા, ઘુમા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વૈષ્ણોદેવી સર્કલ પાસે સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. રાણીપ વિસ્તારમાં ગરનાળામાં પાણી ભરાયા હતા. અમદાવાદ-મહેસાણા હાઈવે પર ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા.

રાજ્યના 134 તાલુકામાં વરસાદ

રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સવારે છથી બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં  સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ઓલપાડમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે સુરતના અલગ અલગ વિસ્તારો જળમગ્ન થયા હતા. સુરતના અનેક રસ્તાઓ સુધી કમર સુધીના પાણી ભરાયા હતા. રાજદીપ સોસાયટીમાં મનપાની ટીમ કામે લાગી હતી. રાજદીપ સોસાયટી પાસેના વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. વેડરોડ પર JCBની મદદથી ગટરના ઢાંકણા ખોલાયા હતા.