અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભારે પવન સાથે ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર ,ગીર સોમનાથ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ ,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે.  જ્યારે અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલમાં પણ આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અમદાવાદમાં ધોધમાર વરસાદ


અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને પગલે અખબારનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે નાગરિકો માટે ફ્લેટની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. શહેરમાં ચારેકોર ગટરોના ગંદા પાણી ઉભરાયા હતા. બોપલ-આંબલી રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. ગટરના પાણી બેક મારતા માર્ગો પર પાણી ભરાયા હતા.


અઢી કલાકના વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાખી હતી. અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વેજલપુર, ઈસનપુર, શેલા, શીલજ, બોપલ, સોલા, ગોતા, ઘુમા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વૈષ્ણોદેવી સર્કલ પાસે સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. રાણીપ વિસ્તારમાં ગરનાળામાં પાણી ભરાયા હતા. અમદાવાદ-મહેસાણા હાઈવે પર ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા.


રાજ્યના 134 તાલુકામાં વરસાદ


રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સવારે છથી બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં  સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ઓલપાડમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે સુરતના અલગ અલગ વિસ્તારો જળમગ્ન થયા હતા. સુરતના અનેક રસ્તાઓ સુધી કમર સુધીના પાણી ભરાયા હતા. રાજદીપ સોસાયટીમાં મનપાની ટીમ કામે લાગી હતી. રાજદીપ સોસાયટી પાસેના વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. વેડરોડ પર JCBની મદદથી ગટરના ઢાંકણા ખોલાયા હતા.


સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કામરેજ, બારડોલી, ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બારડોલીના ડી.એમ.નગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સુરતની જેમ વલસાડમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડમાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. મોગરાવાડી, છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. દાણાબજાર, તિથલ રોડ, એમજી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. એમ.જી. રોડમાં વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. પારડીમાં એક ઈંચ, ઉમરગામમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.