અમદાવાદ: છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. હવામાન વિભાગે પણ વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બે દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  

Continues below advertisement

અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટલે  આગાહી કરતા કહ્યું કે,  રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.  ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ અનુસાર, 4 થી 8 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપની અપેક્ષા છે. જેના કારણે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. 5 નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે.

Continues below advertisement

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે 

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 5 તારીખ પછી વાતાવરણમાં સુધારો થવાની શક્યતા છે.  4થી 8 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. 15 નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 29-30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે, જ્યારે 1 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે. અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા 18થી 24 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે.

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન 

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે.  જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે. 

તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે.  હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.