ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અહીં તેઓ સરદાર પટેલની પ્રતિમાની પાદપૂજા કરી ફૂલ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપશે. આ સાથે જ વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નવા બે પ્રવાસન આકર્ષણો, મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટને પ્રવાસીઓ માટે ખુલ્લા મુકશે.  


તમને જણાવી દઈએ કે ફક્ત ૮ મહિનાના ટુંકા ગાળામાં એકતાનગર ખાતે મેઝ (ભુલભુલૈયા) ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૩ એકર વિસ્તારમાં ફેલાયેલો આ મેઝ ગાર્ડન સમગ્ર દેશમાં સૌથી મોટો મેઝ ગાર્ડન છે, જે કુલ ૨૧૦૦ મીટરનો પાથવે ધરાવે છે. કેવડિયા ખાતે બનાવવામાં આવેલ મેઝ ગાર્ડન ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે શ્રીયંત્ર વાતાવરણમાં પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઊર્જા લઇને આવે છે. 


આ ડિઝાઇન પાછળનો મૂળ ઉદ્દેશ આ ગાર્ડનની રચનામાં સપ્રમાણતા લાવવાનો હતો, જેમાં ગૂંચવણભર્યા જટિલ રસ્તાઓનું નેટવર્ક નિર્મિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ભુલભુલૈયાની મુલાકાત લેતા પ્રવાસીઓના મન, શરીર અને ઇન્દ્રિયોને આ ગૂંચવણભર્યા રસ્તાઓ પડકારશે, તેમને અવરોધો પર વિજય મેળવવા માટે પ્રેરિત કરશે અને તેમના ડરને દૂર કરવા માટે તેમનામાં સાહસની ભાવનાનો સંચાર કરશે. 


આ ભુલભુલૈયા બનાવવા માટે અહીંયા અંદાજે કુલ ૧,૮૦,૦૦૦  છોડ લગાવવામાં આવ્યા છે, જેમાં ઓરેન્જ જેમિન (મુરૈયા એક્સોટિકા), મધુકામિની, ગ્લોરી બોવર (ક્લરોડેન્ડ્રમ ઇનરમ) અને મહેંદીના છોડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ મૂળરૂપે ખડકાળ પથ્થરોની ડમ્પિંગ સાઇટ હતી, જે હવે લીલોછમ ભૂપ્રદેશ બની ગઈ છે. આ નિર્જન વિસ્તારનું આવું પુન:રૂત્થાન તેના સૌંદર્યમાં તો વધારો કરે જ છે, પણ તેના કારણે એક વાયબ્રન્ટ ઇકોસિસ્ટમનું પણ નિર્માણ થયું છે, જે પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓને પણ આકર્ષે છે. 


આ સાઇટની સુંદરતા તમામ વયજૂથોના મુલાકાતીઓ, ખાસ કરીને બાળકોને આકર્ષિત કરશે. બાળકો તેના ભુલભુલામણી ભરેલા રસ્તાઓથી આશ્ચર્યચકિત થશે. મુલાકાતીઓને આવવા-જવામાં પરેશાની ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પાર્કિંગ, રિફ્રેશમેન્ટ અને શૌચાલયની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. 


આ મેઝ ગાર્ડનમાં એક વોચ ટાવર પણ ઊભો કરવામાં આવ્યો છે, જેના પર ઊભા રહીને આખા ગાર્ડનનું રમણીય દ્રશ્ય નિહાળી શકાય છે. આ સમગ્ર પ્રોજેક્ટ વેલી ઓફ ફ્લાવર્સને અડીને બનાવવામાં આવ્યો છે. આ ગાર્ડનની રોજબરોજની જાળવણી માટે માણસોની જરૂર પડશે, જેના કારણે સ્થાનિક લોકો માટે આજીવિકાની તકો ઊભી થશે. જાપાનના બોટનિસ્ટ(વનસ્પતિશાસ્ત્રી) અકિરા મિયાવાકીની પદ્ધતિ દ્વારા તૈયાર થયું મિયાવાકી ફોરેસ્ટ


મિયાવાકી એ જાપાનીઝ બોટાનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેક્નીક છે, જે ટુંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે જ છે, સાથે જ બાજુ-બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે, અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, જેનાથી નિંદણ ઉગતું અટકે છે. 


પ્રથમ ત્રણ વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિમાં છોડનો વિકાસ ૧૦ ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે ૩૦ ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર ૨ થી ૩ વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા એક જંગલ ઊભું કરવામાં ૨૦ થી ૩૦ વર્ષનો સમય લાગે છે. એકતાનગરમાં સરદાર સરોવર નર્મદા નિગમના સર્કિટ હાઉસ ટેકરીની બાજુમાં એકતા મોલની નજીક ૨ એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ જંગલમાં નીચેના વિભાગોનો સમાવેશ કરવામાં આવશે: 


1) નેટિવ ફ્લોરલ ગાર્ડન
2) ટિંબર ગાર્ડન
3) ફ્રુટ ગાર્ડન 
4) મેડિસિનલ ગાર્ડન
5) મિશ્ર પ્રજાતિઓનું મિયાવાકી સેક્શન 
6) ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર 


આ મિયાવાકી ફોરેસ્ટ માટે એન્ટ્રી પ્લાઝા, પાર્કિંગ, સિક્યોરિટી કેબિન, આઉટડોર સિટિંગ, ગઝેબો, પાથવે, નેચર ટ્રેલ્સ વગેરે જેવી મૂળભૂત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પર્યાવરણના જૈવિક અને અજૈવિક તત્વોના મહત્વ તેમજ તેમાં ઉગાડેલા વનસ્પતિના ઔષધીય, આર્થિક અને અન્ય અમૂર્ત ફાયદાઓ અંગે માહિતીપ્રદ સાઇનબોર્ડ્સ અહીં પ્રદર્શિત કરવામાં આવશે.