અમરેલીઃ જીલ્લાના રાજુલામાં છતડિયા ગામમાં મોબાઈલ ફાટવાની ઘટના બની છે. સ્વીચઓફ થયેલો મોબાઈલ શરૂ કરવા જતાં અચાનક જ મોબાઈલ ફાટતા એક વ્યક્તિને હાથના ભાગે ઇજાઓ પહોંચી છે. મોબાઈલનો યુઝ કરતા લોકો માટે લાલા બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.


રાજુલાનું છતડીયા ગામના ખેતર વિસ્તારમાં મકાનમાં અચાનક જ મોબાઇલ ફાટવાની ચોંકાવનારી ઘટના બની છે. માવજીભાઈ કવાડ નામના વ્યક્તિ પોતાનો સેમસંગ કંપનીનો મોબાઈલ સ્વીચઓફ થયેલો હતો ત્યારે મોબાઈલ શરૂ કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ મોબાઈલ ફાટ્યો હતો અને ધુમાડા નીકળવા મંડ્યા હતા. તેમાંથી આગ નીકળતા આ વ્યક્તિના હાથમાં પણ ઇજા પહોંચી હતી અને હાથની આંગળીઓ લોહી લુહાણ કરી નાખી હતી હતી. જોકે સમય સુચકતાને કારણે મોબાઈલ બહાર ફેંકી દેતા યુવકના હાથને વધુ નુકશાન પહોંચાડ્યું ન હતું. તેમની પાસે બેસેલા તેમના પરિવારજનોમાં પણ દોડધામ મચી ગઇ હતી. 


બીજી તરફ આ ઘટના બનતા પરિવારજનોમાં પણ ભયનો માહોલ બન્યો છે અને મોબાઈલ ફાટતા અવાજ પણ આવ્યો હોવાનું અહીંના સ્થાનિકો કહી રહ્યા છે, તો બીજી તરફ આ ઘટનાને પગલે પરિવારજનોએ પણ મોબાઇલની લત ધરાવતા નાના બાળકોને પણ મોબાઈલ આપવાનું બંધ કર્યું છે અને મોબાઈલથી સાવધાન રહેવુ જોઈએ તેમ જણાવી રહ્યા છે.


આ ઘટનાને પગલે મોબાઈલના જાણકાર અને મોબાઈલ ટેક્નિશિયન તરીકે ઘણા વર્ષોથી અલગ-અલગ કંપની સાથે કામ કરતા વ્યક્તિનું માનીએ તો જે મોબાઈલ હોય તે જ કંપનીના ચાર્જરનો યુઝ કરવો જરૂરી છે. નહિતર ચાર્જરના વોલટેજ અને એમ્પિયર અલગ-અલગ હોય જેથી બેટરીને નુકશાન થાય તો બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહે છે. મોબાઈલ પાણીમાં પડેલો હોય તો તેને સૂકવવા માટે સગડી, ગેસનો ઉપયોગ ન કરવો જોઈએ તો મોબાઈલ ચાર્જ થતી વખતે તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને કાળજી રાખવી જોઈએ તેવુ કહી રહ્યા છે.