Narmada Dam: ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડ બાદ રાજ્યમાં તમામ જળાશયો અને નદી-નાળા છલકાઇ ગયા છે, આ લિસ્ટમાં રાજ્યનો સૌથી મોટો ડેમ નર્મદા ડેમ પણ પોતાની ઉચ્ચ સપાટી પર પહોંચી ચૂક્યો છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. અહીં નર્મદા ડેમની સુંદર તસવીરો સામે આવી છે, જુઓ કેટલો ભરાઇ ચૂક્યો છે નર્મદા ડેમ..... 




તાજા અપડેટ પ્રમાણે નર્મદા ડેમ અત્યારે નર્મદા ડેમની જળસપાટી 24 કલાકમાં 18 સેમીનો વધારો નોંધાયો છે. ડેમની જળસપાટી 130.61 મીટરએ પહોંચી ચૂકી છે. ડેમમાં પાણીની આવક 43,627 ક્યૂસેક થઈ રહી છે, જ્યારે જાવક 43,402 ક્યૂસેકની છે. 




ખાસ વાત છે કે, CHPH  ટર્બાઇન હાલ બંધ છે, અને RBPHના 1200 મેગાવૉટના 6 ટર્બાઇન ચાલુ કરી વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. અત્યારે નર્મદા ડેમ 80 ટકાથી વધુ ભરાયો છે.








તમને જણાવી દઈએ કે,  સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 39,101 ક્યુસેક છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 46,729 ક્યૂસેક નોંધાઈ છે.  રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં પાણીની જાવક  10,859 ક્યૂસેક છે.  કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક 5,397 ક્યુસેક છે. આમ પાણીની આવક વધતા છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 20 સેમીનો વધારો થયો છે.


નિચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા અપાઈ સૂચના


તો બીજી તરફ ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની સ્થિતિને જોતા આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને એલર્ટ રહેવા કહ્યું છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદાર, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તૈયારી અને એલર્ટ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની માહિતી આપી છે.


એટલું જ નહીં ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, વાંસલા, ગંભીરપુરા, સુરજવડ, સાંજરોલી અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના તિલકવાડા, રેંગણ, વાડિયા, વાસણ અને વિરપુર તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ, ગુવાર, રામપુરા, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા, ભદામ, રાજપીપલા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા પશુઓને પણ આ વિસ્તારમા ન લઈ જવા સૂચના આપી છે. રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જેના કારણે ડેમમાં પાણીની આવકમાં હજુ પણ વધારો થઈ શકે છે.