મોરબીમાં ઝૂલતા પુલ તૂટી  પડવાના કેસમાં પોલીસ ફરિયાદ બાદ એક્શનમાં આવી છે. પોલીસે આ મામલે નવ લોકોની અટકાયત કરી હતી. પુલના પ્રબંધક, મેઇન્ટેનન્સ સંભાળનારી અટકાયત કરવામાં આવી હતી. મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ કરાઇ હતી.


પોલીસે અલગ અલગ 22 ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. મોરબી હોનારતમાં બેદરકારી દાખવનાર ઓરેવાના નામે અમદાવાદમાં ફાર્મ હાઉસ છે. કંપનીના સંચાલક અને ફાર્મના મેનેજર ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઘટનાના કલાકો બાદ પણ કંપનીના સંચાલકો  કાયદાની પકડથી દૂર છે.


મળતી જાણકારી અનુસાર, મોરબી દુર્ઘટનામાં 132 લોકોના મોત થયા છે જ્યારે 100 ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 56 બાળકો અને 76 પુખ્તવયના લોકોનો સમાવેશ થાય છે. મોરબી સિરામિક અસોસિયેશન આવતીકાલે બંધ પાડશે. ટ્રાન્સપોર્ટ અસોસિયેશન પણ એક દિવસ  બંધમાં જોડાશે.


પ્રધાનમંત્રી મોદી કેવડિયામાં મોરબી પુલ દુર્ઘટના પર ભાવુક થયા હતા. તેમણે કહ્યું, મારું મન પીડિત પરિવારો સાથે છે. સરકાર પીડિત પરિવારો સાથે છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર શક્ય તમામ મદદ કરી રહી છે. રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે કેવડિયામાં સંબોધન દરમિયાન તેઓ ભાવુક થયા હતા. તેમણે કહ્યું મેં જીવનમાં ક્યારેક જ આ પ્રકારે દર્દનો અનુભવ કર્યો છે. એક તરફ મારું દિલ દર્દથી ભરઈ ગયું છે તો બીજી તરફ કર્તવ્યનો રસ્તો છે. તેમણે કહ્યું કે NDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આમાં આર્મી અને એરફોર્સની ટીમ મદદ કરી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાને દેશના લોકોને આશ્વાસન આપ્યું હતું કે રાહત અને બચાવ કાર્યમાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં.


મોરબીમાં પુલ હોનારતમાં 140થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ દુખ વ્યક્ત કર્યું છે.


બીજી તરફ મોરબીમાં ઓરેવા ગ્રુપની બેદરકારીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. મોરબીના ઝૂલતા પુલ તૂટ્યાના લાઇવ દ્રશ્યો વાયરલ થયા છે. ઝૂલતો પુલ તૂટતાની સાથે અનેક લોકો પાણીમાં ગરકાવ થયા હતા. દુર્ઘટના સમયે કેટલાક લોકો જાળીમાં લટકતા જોવા મળ્યા હતા. ઓરેવા ગ્રુપના કરારની કોપી એબીપી અસ્મિતાના હાથમાં લાગી છે