જામનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં આજે એક સાથે સાત કેસ સામે આવ્યા છે. શહેરી વિસ્તારમાં ૩ તેમજ બાકીના ચાર જામજોધપુર અને અન્ય શહેરોમાં કેસો સામે આવ્યા છે. જામનગરમાં કોરોનાના ગઈ કાલે પાંચ વાગ્યા સુધીમાં 9 કેસો નોંધાયા છે, જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. ત્યારે જામનગરમાં કોરોનાના કેસોની સંખ્યા 16 થઈ ગઈ છે.


રાજ્યના આરોગ્ય વિભાગે ઉતાવળો નિર્ણય કરી અને જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જી. જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસીડેન્ટ તબીબોને જામનગરથી અમદાવાદ ડેપ્યુટેશન પર અમદાવાદ કોવીડ હોસ્પીટલમાં ફરજ મુકવામાં આવતા પરિણામ ગંભીર આવ્યું છે અને જામનગરથી અમદાવાદ કોરોનાના દર્દીઓની સારવાર કરવા ગયેલા તબીબો ખુદ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.



બે દિવસમાં ચાર રેસીડેન્ટ તબીબો જે જામનગરની કોલેજમાં અભ્યાસ કરે છે તેના રીપોર્ટ પોઝિટિવ આવતા અન્ય રેસીડેન્ટ તબીબોમાં પણ ફફડાટ ફેલાયો છે. એક તરફ મેડીકલ કોલેજ સંલગ્ન સરકારી હોસ્પિટલમાં ૩૦% જેટલા તબીબોની ઘટ છે, ત્યારે જ જામનગરથી આ રીતે તબીબોને મોતના મુખમાં અમદાવાદ ધકેલવાનો આરોગ્ય વિભાગનો અખતરો ગભીર સાબિત થયો છે.

વધુમાં ડીનના જણાવ્યા મુજબ જામનગરની જી.જી. હોસ્પિટલમાં તબીબોની ૩૦% જેટલી ઘટ છે, પણ જે તબીબોને મોકલવામાં આવ્યા છે, તે મેડીસીન અને એનેસ્થેસિયા વિભાગમાં તબીબોની સંખ્યા પુરતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય ઓર્થોપેડીક, પેથોલોજી, ગાયનેક અને પીડીટ્રીક મળીને કુલ ૩૦% તબીબોની ઘટ છે, પણ આ તબીબોને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આદેશ બાદ મોકલવામાં આવ્યાનું મેડીકલ કોલેજના ડીન ડો.દેસાઈએ એબીપી અસ્મિતાને જણાવ્યું હતું.