કોડીનારઃ ગુજરાતમાં 3 કેસો રિકવર થયા પછી કોરોનામુક્ત થયેલા ગીર સોમનાથ જિલ્લામાં ફરીથી એક કેસ સામે આવતાં લોકોમાં ફફડાટ મચી ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં ફરી કેસ સામે આવતાં શહેર સજ્જડ બંધ કરી દેવાયું છે. પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવાયો છે. અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં 3 કેસો નોંધાયા હતા. જોકે, તમામ ત્રણેય દર્દીઓ સાજા થતાં ગીર સોમનાથમાં એક પણ એક્ટિવ કેસો નહોતો.


કોડીનારમાં માર્કેટયાર્ડ, શાકભાજી માર્કેટ, કરિયાણા સહિત તમામ ધંધા રોજગાર બંધ કરી દેવાયા છે. કોડીનાર મામલતદાર અને પીઆઈના આદેશ બાદ બજારો બંધ કરાવી દેવાયા છે. ગુજરાતમાં હાલ કોરોના કહેર મચાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠામાં છે.



બીજી તરફ ગુજરાતમાં એક માત્ર અમરેલી જિલ્લો એવો છે, જ્યાં અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત નર્મદા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને ભરુચ જિલ્લાએ કોરોનાને મ્હાત આપી છે. આમ, ગુજરાતમાં હાલ 6 જિલ્લા કોરોનામુક્ત છે. હવે આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી. અત્યાર સુધી ગીર સોમનાથ કોરોનામુક્ત હતું. જોકે, ફરીથી કેસ આવતાં ફરી તંત્ર દોડતું થઈ ગયું છે.