ગાંધીનગર:  ગુજરાતના 50થી વધારે  IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક સપ્તાહની અંદર IPS અધિકારીઓની બદલી કરવામાં આવશે.  જેમાં અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળશે. હાલ અમદાવાદમાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર છે.  સુરત અને વડોદરા શહેરને પણ નવા પોલીસ કમિશનર મળી શકે છે.  ગુજરાતના રેન્જ આઈજીની પણ બદલીઓ કરવામાં આવશે. ત્રણ વર્ષથી વધુ સમય સુધી રેન્જમાં છે તેમની બદલી કરવામાં આવશે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં જિલ્લા પોલીસવડાની પણ બદલીઓ કરાશે.

  




અમદાવાદ પોલીસ કમિશનર પદ પર કોને મૂકવા તે અંગે ઉચ્ચ સ્તરે ચર્ચા વિચારણા ચાલી રહી છે. ગુજરાત કેડરના 50થી વધુ અધિકારીઓની બદલી માટે ગૃહખાતામાં કવાયત શરૂ કરવામાં આવી છે. આગામી સપ્તાહમાં બદલીની પ્રક્રિયા પૂરી કરાશે. 


એક સપ્તાહમાં IPS અધિકારીઓની બદલી થઈ શકે છે


રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. રાજ્યમાં  આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર  સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે.  ત્યારે હવે ટૂંક સમયમાં અમદાવાદ શહેરને નવા કમિશનર મળે તેવી શક્યતા છે. 


અમદાવાદ સહિતના મહાનગરો તેમજ રાજ્યની અલગ-અલગ રેન્જના આઈજીની બદલી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અનેક જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિને ધ્યાનમાં રાખી IPS અધિકારીઓની બદલી કરવામાં આવી શકે છે.   


હાલમાં જ રાજ્યના 5 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી 


રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા સીધી ભરતીના IPS અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી હતી. બિશાખા જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ-2, સી.આઈ.ડી. (ક્રાઈમ),   ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા જિલ્લો દાહોદ મોકલાયા છે.  


જ્યારે IPS અધિકારી રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક, ફ્રોડ ઈન્વેસ્ટીંગેશન સી.આઈ.ડી. (ક્રાઈમ),   ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક, દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા મોકલાયા છે. 


અગ્રવાલ જિતેન્દ્ર મોરારીલાલા મદદનીશ પોલીસ અધિક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાંચ ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક ઉના જિલ્લો ગીર સોમનાથ મોકલાયા છે. 


નિધિ ઠાકુર    મદદનીશ પોલીસ અધિક્ષક, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ-3, સી.આઈ.ડી. (ક્રાઈમ),   ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક કામરેજ જિલ્લો સુરત ગ્રામ્ય બદલી કરવામાં આવી છે. 


કોરુકોંડા સિદ્ધાર્થ મદદનીશ પોલીસ અધિક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાંચ ગાંધીનગરથી બદલી કરી  મદદનીશ પોલીસ અધિક્ષક દાહોદ મુકાયા છે.   


ડીવાયએસપી વરુણ વસાવાને નાયબ પોલીસ અધિક્ષક તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જયવીરસિંહ એન ઝાલાની વિભાગીય પોલીસ અધિકારી જામનગર તરીકે બદલી કરાઈ છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial