- હાલમાં રાજ્યના 24 જળાશયો સંપૂર્ણ જ્યારે 54 જળાશયો 70 થી 100 ટકા ભરાયા
- ગત વર્ષે આ સમયે રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા જળ સંગ્રહ હતો
- રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 47 ટકાથી વધુ વરસાદ
ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 11 જુલાઈ-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા જળ સંગ્રહ હતો તેમ, જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 62.83 ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.37 ટકા જળ સંગ્રહ, કચ્છના ૨૦ જળાશયોમાં 56.07 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 55.67 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.79 ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આમ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 56.76 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયલો છે.
રાજ્યમાં હાલમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ 57 ટકા, દક્ષિણ ગુજરાતમાં 5218 ટકા, સૌરાષ્ટ્રમાં 47.01 ટકા, પૂર્વ મધ્યમાં 45.90 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 42.08 ટકા સરેરાશ વરસાદ થયો છે. જેના ફળ સ્વરૂપે રાજ્યના 24 જળાશયો 100 ટકાથી વધુ, 54 જળાશયો 70 થી 100 ટકાની વચ્ચે, 44 જળાશયો 5 થી 70 ટકાની વચ્ચે જ્યારે 40 જળાશયો 25 થી 25 ટકાની વચ્ચે ભરાયા છે. જેથી રાજ્યના 38 જળાશયો માટે હાઈ એલર્ટ, 20 જળાશયો એલર્ટ જ્યારે 20 જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે રાજ્યમાં હાલની સ્થિતિએ વડોદરા જિલ્લામાં બે સ્ટેટ હાઈવે અને છોટાઉદેપુર તાલુકામાં માત્ર એક નેશનલ હાઈવે સિવાય બાકીના તમામ રોડ રસ્તા ચાલુ છે. આ બંધ રોડ પણ બનતી ત્વરાએ ચાલુ કરાશે.
રાજ્યમાં વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાનું પ્રમાણ 12 જૂન સુધીમાં ઓછું રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે.બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર મધ્યપ્રદેશ બાજુ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ થશે. 12થી 14 જુલાઇની આસપાસ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જયારે 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.