અમદાવાદઃ અનલોકની ગાઈડ લાઈન પ્રમાણે આજથી દેશભરમાં મલ્ટીપ્લેક્સ ખૂલી રહ્યા છે. પરંતુ ગુજરાતના અમદાવાદ સહિત અનેક શહેરોમાં શુક્રવારથી મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટર શરૂ થશે.  સિંગલ સ્ક્રીનમાં પણ માત્ર ચાર જ શો બતાવવામાં આવશે. તેમાં પણ માત્ર ગુજરાતી ફિલ્મો બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ લોકડાઉનના 7 મહિના બાદ પહેલીવાર ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન થિયેટરો શરૂ તો થશે. પરંતુ તેમાં હિન્દી ફિલ્મોની જગ્યાએ માત્ર ગુજરાતી ફિલ્મો જ બતાવવામાં આવશે.


સુરતમાં 10 મલ્ટીપ્લેક્ષ અને 4 થિયેટર છે, જેમાં ફકત આઈનોક્ષમાં ફિલ્મો આવતીકાલથી શરૂ થશે. 50 % બેઠકો સાથે થિયેટર શરૂ કરવામાં આવશે.  સુરતનું આઈનોક્ષ 3 વાગે ફિલ્મ શરૂ કરશે. આઈનોક્ષના 4 થિયેટરમાં ફિલ્મ શરૂ થશે. વડોદરામાં પણ 9 મલ્ટીપ્લેક્ષ માલિકો થિયેટર શરુ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.  આઈનોક્ષ, પીવીઆર અને સીને પોલીસના મલ્ટીપ્લેક્ષ ખુલશે. ગાઈડલાઈન પ્રમાણે  એક શો માં ફક્ત 50 લોકો જ ફિલ્મ નિહાળી શકશે તેની સાથે તમામ મલ્ટીપ્લેક્ષ સેનેટાઈઝ કરવામાં આવી રહ્યાં છે.

રાજકોટમાં મોટાભાગના મલ્ટીપ્લેક્ષ પણ આજથી નહી ખુલે.  આઇનોક્સ એક જ મલ્ટીપ્લેક્સ ખુલશે અને તે પણ 2 સ્ક્રીન ચાલુ કરશે.   મોરબીમાં થિયેટર સંપૂર્ણ બંધ રહેશે, તો મહેસાણામાં 1 મલ્ટિપ્લેક્ષ અને 1 થિયેટર  છે તે હાલ શરુ કરવામાં આવશે નહીં. સાબરકાઠામાં 17 તારીખ પછી ગાઈડલાઇન પ્રમાણે થિયેટર ચાલુ થશે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ માં 9 મલ્ટીપ્લેક્ષ અને 12 થિયેટર આવેલા છે, જે નવરાત્રિમાં ચાલુ કરવામાં આવશે. અમરેલીમાં આવેલ મલ્ટિપ્લેક્ષ શરૃ કરવામાં આવશે. ગોધરા ખાતે આવેલ મલ્ટિપ્લેક્ષ શરૂ નહીં કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. બનાસકાંઠામાં પણ થિયેટર ચાલુ કરવામાં આવશે નહીં. જ્યારે તાપીમાં સિનેમાઘરો ચાલુ કરવામાં આવશે.

કેવા નિયમોનું પાલન કરવું પડશે ?

- સિનેમાઘરના કાઉન્ટર પરથી ટિકિટ ખરીદશે તેમને પણ ઈ ટિકિટ મળશે. ઈ ટિકિટ લીધા બાદ દર્શક સિનેમાઘરમાં દાખલ થઈ શકશે.

- જે લોકોની ઉમર 6 વર્ષથી વધારે અને 60 વર્ષથી નીચે હશે તેમને જ સિનેમાઘરમાં પ્રવેશ અપાશે. 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે.

- સિનેમા હોલની અંદર એસીનું ટેમ્પરેચર 23-30 ડિગ્રી પર રાખવુ પડશે.

- શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે.

- કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે.

- થર્મલ સ્ક્રીનિંગ થશે. માસ્ક પહેરવું  ફરજિયાત રહેશે, અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે

- કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે

- 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય

- એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે.

- ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે.

- બાકીની સીટ પર નોટ ટૂ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે.

- કન્ટેનમેઈન ઝોનમાં થિયેટરોને અનુમતિ રહેશે નહીં.