અમદાવાદઃ ગુમ થયેલા જવાનનો રતલામ જિલ્લાના રતાલ ગામથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. રેલવે પોલીસે મૃતદેહને બિનવારસી સમજીને પરિવારજનોની શોધખોળ કર્યા વગર જ 24 કલાકની રાહ જોયા વગર જ દફનાવી દીધો હતો. પરિવારજનો રતલામ પહોંચ્યા તો પહેલા તો PM રિપોર્ટ આવે તેવા બહાને એક દિવસ સુધી રાહ જોવડાવાઈ અને બાદમાં મૃતદેહ બાહર કઢાયો તો જાણવા મળ્યું કે તેનું PM થયું જ નથી. કારણ કે મૃતદેહ પર ચીરફાડના કોઈ નિશાન જ ન હતા.


આખરે SDMની હાજરીમાં ખોદકામ કરીને મૃતદેહને બહાર કઢાયો હતો. પરિવારજનોની માગ છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવે. મૃત્યુનું સાચુ કારણ સામે આવે અને MP પોલીસ સામે પણ કાર્રવાઈ કરવામાં આવે કે PM કર્યા વગર જ મૃતદેહને શા માટે દફનાવવામાં આવ્યો.

નોંધનીય છે કે, કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ 5માં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં કોબ્રા કમાન્ડો અજિતસિંહ પરમારનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં વિવાદ ઉભો થયો હતો.

અજિતસિંહ દિવાળીની રજા માણવા માટે દિલ્હી-વડોદરા રાજધાની ટ્રેનમાં પોતાના વતન કોડીનાર આવી રહ્યા હતા. 13 નવેમ્બરે અજિતસિંહ ટ્રેનમાં બેઠા પછી ટ્રેનમાં ગુમ થયા હતા. તેમનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવતાં 14 નવેમ્બરના રોજ પરિવારજનોએ તેમના ગુમ થયાની જાણ રેલવેમંત્રી પીયૂષ ગોયલને ટ્વીટ દ્વારા કરી હતી. મૃતદેહ મળ્યાના 10 કલાકમાં જ મધ્યપ્રદેશની પોલીસે તેમના મૃતદેહને પરિવારની મંજૂરી વગર દફનાવી નાખ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અજિતસિંહ દિલ્હી-વડોદરા ટ્રેન નં.02952ના કોચ નં. 5માં 50 નંબરની સીટમાં બેસી પોતાના વતન આવી રહ્યા હતા. પરિવારજનોએ 14 નવેમ્બરના રોજ ફરિયાદ કર્યા પછી 15 નવેમ્બરના રોજ સવારે રતલામ ડિવિઝન નજીક રેલવે-ટ્રેક પરથી તેંનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે RPF દ્વારા પરિવારને માહિતી આપવામાં આવી હતી. મૃતદેહનો ફોટોગ્રાફ્સ વ્હોટ્સએપથી પરિવારને મોકલાયો પછી પરિવારે તેમને ઓળખી બતાવ્યો હતો. જો કે સ્થાનિક પોલીસે અજિતસિંહના પરિવારને જાણ કર્યા વગર જ મૃતદેહને દફનાવી દેતાં અજિતસિંહના મૃત્યુને લઈને અનેક પ્રકારની શંકા ઊભી થઈ છે. આ અંગે પરિવારજનોએ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા અને ન્યાય આપવા માગ કરી છે.