તહેવારોની સિઝનની સાથેસાથે કોરોનાની પણ રાજ્યમાં સિઝન જામતી જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1125 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના નવા 218 પોઝિટીવ કેસ નોંધાયા છે.


અમદાવાદ બાદ સુરતમાં 158, વડોદરામાં 96, રાજકોટમાં 55, જામનગરમાં 17, ભાવનગરમાં 05, જૂનાગઢમાં 11 અને ગાંધીનગરમાં નવા 36 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં વધુ 7 દર્દીના મૃત્યુ થયા છે.

શિયાળાની શરૂઆત અને તહેવારોની મોસમ જામી છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે ખાસ કાળજી રાખવા માટે ચેતવણી આપવામાં આવી છે. જો કે, આ તમામ પ્રકારની ચેતવણી અવગણીને ગુજરાતીઓ ટહેલવા નીકળી પડ્યા છે.પરંતુ આ તમામ બાબતો વચ્ચે ગુજરાતમાં થોડાક દિવસોથી કોરોના વાયરસ ફરીથી માથું ઊંચકી રહ્યો છે. દિવાળીના તહેવારોની મોસમ જામી છે ત્યારે મહાનગરોમાં લોકો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા હતા ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.

રાજયમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 3 હજાર 815 પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં 1 હજાર 116 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. 24 કલાક દરમિયાન રાજયમાં 47 હજાર 328 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કુલ કોરોનાનો આંક 1 લાખ 90 હજાર 361 પર પહોંચ્યો છે. જેમાંથી 12 હજાર 458 એક્ટિવ કેસ છે. આ એક્ટિવ કેસમાંથી 12 હજાર 384 દર્દીઓની હાલત સ્થિર છે તો 74 દર્દીઓ વેન્ટિલેટર પર છે.