રાત્રિ કર્ફ્યૂને લઈ ગુજરાત સરકારે  મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ એક મહિનો લંબાવવામાં આવ્યું છે.  આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે. 10 નવેમ્બર સુધી રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે. 


ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા જ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ ફરીથી લંબાવી દેવામાં આવ્યું છે, રાજ્યનાં આઠ મોટા શહેરો એટલે મનપાઓમાં આ રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. 


ગુજરાતીઓને રાત્રિ કર્ફ્યૂનાં સમયમાં પણ કોઈ ખાસ રાહત મળી નથી. રાતનાં 12 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ પડશે.  અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં કર્ફ્યૂ લાગુ રહેશે. 


અગાઉ 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ હતું. અગાઉ ગૃહ વિભાગના જાહેરનામા પ્રમાણે 10 ઓક્ટોબર સુધી રાજ્યનાં આઠ શહેરમાં રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું હતું.


આ પહેલા રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત 25મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ હતી ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાનાં આયોજનો માટે નવી ગાઈડલાઈન્સ સાથે મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતો. રાજ્યનાં 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં 26 સપ્ટેમ્બરથી રાત્રિના 12 વાગ્યાથી 10 ઓક્ટોબર સુધી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં મૂક્યો હતો.




નવરાત્રિ પહેલા રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો કરીને 12થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરાયું હતું. જેથી રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવાં આયોજનો 400 વ્યક્તિની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો.