અમદાવાદઃ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કફર્યૂને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, આ ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ આગામી 15 દિવસ સુધી યથાવત રહેશે. એટલે કે 31 જાન્યુઆરી સુધી આ ચારેય મહાનગરમાં કર્ફ્યૂ યથાવત રહેશે. કર્ફ્યૂના સમયમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આગામી 31 જાન્યુઆરી સુધી રાત્રે 10થી સવારે 6 સુધી આ ચાર મહાનગરમાં કર્ફ્યૂ રહેશે.


નોંધનીય છે કે, દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રી કર્ફ્યુ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો. રાતના દસ વાગ્યા બાદ રાત્રિ કર્ફ્યુનો અમલ થતો હતો. રાજ્ય સરકાર રાતના 11 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહી શકે તેવી છુટછાટ આપી શકે છે.

રાત્રી કર્ફ્યુમાં છુટછાટ આપવા માટે હોટેલ, રેસ્ટોરંટ એસોસિએશને પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જોકે આ રજૂઆતને સરકારે ધ્યાનમાં ન લેતા કર્ફ્યૂમાં કોઈ ફેરફાર કર્યો નથી. કોરોનાના રોજના કેસોની સંખ્યા 600 સુધી પહોંચ્યા છે. આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં રસીકરણનો શુભારંભ થવા જઈ રહ્યો છે.

અગાઉ રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુમાં એક કલાકનો ઘટાડો કરીને રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રાખવાનો નિર્ણય કરાયો હતો.