સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક ગઈકાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. રાહત કમિશનરે જણાવ્યુ કે, 27 જુલાઈના રોજ સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૧૭- જિલ્લાના ૬૧-તાલુકાઓમાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધારે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં ૧૯ મી.મી. વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી તા.૨૭/૦૭/૨૦૨૧ સુધીમાં ૨૮૬.૮૧ મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૩૪.૧૪% છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે તેવા તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર તથા સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના આ૫વામાં આવી હતી.


IMDના અઘિકારીએ જણાવ્યુ છે કે, ગુજરાત રાજયમાં સારો વરસાદ થયેલ છે. આગામી દિવસોમાં રાજયમાં વલસાડ જિલ્લામાં ભારે અને અન્ય જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. 


કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.૨૬ જુલાઇ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૬૪.૮૫ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૬૪.૨૮ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૭૫.૮૦%  વાવેતર થયેલ છે.


સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં ૧૫૫૧૧૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૬.૪૩% છે. રાજયના ૨૦૬ જળાશયોમાં ૨૫૨૬૧૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૩૨% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૯ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૭ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-૦૯ જળાશય છે.


એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. અને  ૨-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. એસ.ડી.આર.એફ.ની કુલ ૧૧ ટીમ હવામાન વિભાગની આગાહી ધ્યાને લઇ એલર્ટ રાખવામાં આવેલ છે.


વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી. તથા ઇસરો, બાયસેગ, જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ આ મીટીગમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.