Happy Republic Day 2024: ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રજાસત્તાક દિવસ 2024 પર જૂનાગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. જૂનાગઢમાં શુક્રવારે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ત્રિરંગો ફરકાવ્યો.


નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી ગાંધીનગરમાં ગણતંત્ર દિવસ પર ધ્વજ ફરકાવશે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગણતંત્ર દિવસના ધ્વજવંદન કાર્યક્રમોની અધ્યક્ષતા કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી રાજ્યના લોકનૃત્ય ગરબાની સાથે ધોરડો અને સરહદ પર્યટનની આસપાસ આધારિત હશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, સૌ નાગરિકોને 75માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ. ભારતમાતાની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ સ્વાતંત્ર્યવીરો અને બંધારણ નિર્માતાઓને શત્ શત્ નમન. આવો, આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ. ભારતીય સંસ્કૃતિ અને સંવિધાનના મહાન મૂલ્યોને અનુસરી આપણા દેશને વિશ્વમાં અગ્રીમ સ્થાને બિરાજમાન કરાવવા સહિયારો પુરુષાર્થ કરીએ. ભારતમાતા કી જય.






દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી


પ્રજાસત્તાક દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે શરૂ થશે, જ્યાં તેઓ શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે થોડીવાર પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમના ફ્રેન્ચ સમકક્ષ ઈમેન્યુઅલ મેક્રોન પરંપરાગત બગીમાં આવશે. આ પ્રથા 40 વર્ષના ગાળા બાદ ફરી શરૂ થઈ રહી છે.


રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રગીત સાથે સ્વદેશી ગન સિસ્ટમ '105-mm ઇન્ડિયન ફિલ્ડ ગન'થી 21 તોપોની સલામી આપવામાં આવશે. આ પછી રાષ્ટ્રપતિ મુર્મુની સલામી લઈને પરેડની શરૂઆત થશે.


ગણતંત્ર દિવસની પરેડ સવારે 10.30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે. શુક્રવારના રોજ ડ્યુટી પથ પર 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખી બતાવવામાં આવશે. પરેડમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 16 ઝાંખીઓ હશે. મંત્રાલયો/વિભાગોની 9 ઝાંખીઓ હશે.