ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 35  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,577 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  4,22,749 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


કોરોનાના વધતા કેસને લઈ અમદાવાદના ચાંદખેડાની એક સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાઇ હતી. સંપાદ સોસાયટીના C બ્લોકમાં આવેલા 20 મકાનના 76 નાગરિકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 3, વલસાડમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, જૂનાગઢમાં 1, કચ્છમાં 1 અને સુરેન્દ્રનગરમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો.


 જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 220  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 214 નાગરિકો સ્ટેબલ છે. 8,16,577 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 5 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1724  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8679 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,03,856 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26,551 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,81,934 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,22,749 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,37,54,301 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી,  નર્મદા, નવસારી,  પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત,  તાપી, વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.