Hit And Run: ડીસા પાલનપુર હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા ટ્રક ચાલકની ટક્કરથી રાહદારીનું મોત થયું છે. રાહદારીને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ટક્કર લાગતાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાહદારી પાસેથી ક્રુષ્ણનાગર-ડીસાની બસની ટિકિટ મળી આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ રાહદારી અમદાવાદના ક્રુષ્ણનગરનો રહેવાસી છે. બનાવને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જો કે, મૃતક રાહદારીની હજુ ઓળખ થઈ શકી નથી.


ગુજરાતના દરેક પોલીસ મથકમાં બનશે એક ક્લસ્ટર


Gandhinagar: પાટનગર ખાતે બે દિવસીય "ફોરેન્સિક હેકેથોન 2023"નો પ્રારંભ થયો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે ફોરેન્સિક હેકેથોન 2023નો પ્રારંભ કરવામાં આવ્યો છે.  આવતી કાલથી ત્રિ-દિવસીય "25મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ" યોજાશે. બંને કાર્યક્રમોનો હેતુ ન્યાય વિતરણ પ્રણાલીને મજબૂત કરવાનો છે. NFSU અને ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ (DFSS) સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ “ફોરેન્સિક હેકેથોન”નું ઉદ્ઘાટન કર્યું હતું. દેશ - વિદેશના 1200થી વધુ પ્રતિનિધિઓ-સ્પર્ધકો આ બંને કાર્યક્રમમાં ભાગ લેશે. કુલ રૂ. 50 લાખથી વધુના પુરસ્કારો પણ વિજેતાઓને અપાશે.


આ પ્રસંગે હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતના દરેક પોલીસ મથકમાં એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં પોલીસ કર્મચારીઓની સાથે એફએસએલના નિષ્ણાંતો રહેશે. કોઈપણ ગુનો બનશે ત્યારે આ ટીમ ઘટના સ્થળે જશે. જેનાથી ક્રાઇમ ડીટેકશન રેટ વધશે અને તેની ઝડપ પણ વધશે. તેવી જાહેરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે ફોરેન્સિક હેકેથોન 2023નો પ્રારંભ કરતી વેળાએ હર્ષ સંઘવી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાત ક્રાઇમ ડિટેકશનમાં પ્રથમ બનશે. પ્રથમ હેકેથોનમાં 58 કંપનીઓ જોડાઈ છે. આવનારા દિવસોમાં એફએસએલના સાધનો અહી બનશે. 


મોરબી બ્રીજ દુર્ઘટના મામલે લોખંડી સુરક્ષા વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરાયા


Morbi Bridge Tragedy Update: મોરબી બ્રીજ દુર્ઘટના કેસ મામલે આજે જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં હાજર કર્યા હતા. પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવણમાં આવ્યો હતો. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ બ્રિજના રિનોવેશનનું કામ જયસુખ પટેલે કર્યું હતું.