અમદાવાદઃ ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 9 થી 12માં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેતાં હવે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા માગ કરાઈ છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને રજૂઆત કરી છે કે, રાજ્યની સ્કૂલના ઓફલાઈન વર્ગોમાં હાજરી ફરજિયાત ના હોવાથી વિદ્યાર્થીઓ હાજરી આપવાનું ટાળી રહ્યા છે અને તેના કારણે સ્કૂલો ચાલુ કરવાનો અર્થ નથી.


તેમણે કહ્યું કે, હજુ પણ ઓફલાઈન સાથે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું હોવાથી વિદ્યાર્થીઓ શાળામાં હાજરી આપતા નથી. આ ઉપરાંત સ્કૂલોમાં ધોરણ 9થી ધોરણ 12 ના વર્ગોમાં ઓફલાઈન અભ્યાસ કરવાના બદલે ટ્યુશન - કલાસીસને બાળકો પ્રાધાન્ય આપી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા છે, મૃત્યુઆંક પર હવે જ્યારે કાબુ મેળવાયો છે ત્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે એવામાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવા મહામંડળ દ્વારા વિનંતી કરાઈ છે.