કોરોના સંક્રમણ વચ્ચે લગ્નપ્રસંગ અંગેની કોવિડ - ગાઈડ લાઈન તથા અન્ય બાબતો અનુસંધાને રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ મહત્વનો મેસેજ સોશિયલ મીડિયા દ્વારા જનતાને પાઠવ્યો છે. તેઓએ જણાવ્યું કે, 'લગ્ન પ્રસંગમાં માત્ર 50 લોકો જ હાજરી આપી શકશે. ઉપરાંત રાત્રી કરફ્યુ દરમ્યાન લગ્ન પ્રસંગ યોજી શકાશે નહીં.'


વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં હવે લગ્ન યોજવા માટે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. ડિજિટલ ગુજરાતના પોર્ટલમાં ફરજીયાતપણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મેરેજ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે. આ સાથે જ પોલીસ વિભાગને જાણ થાય અને મોનેટરિંગ વ્યવસ્થા કરી શકાય તે માટે તેમજ કોરોના સંક્રમણને અટકાવવા લગ્નમાં 50ની વધુ લોકો ભેગા ના થાય તેવી અપીલ પણ કરી છે. પરંતુ જો આ ગાઈડલાઈનનું ભંગ થશે તો તેઓની વિરૂદ્ધ કડક કાર્યવાહી પણ કરાશે તેવો આદેશ આપ્યો છે.


આ સાથે જ તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, 'કોરોના કાળ વચ્ચે કોઈ પણ પ્રકારના ભયજનક કે પછી અફવા ફેલાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા નહીં. કારણ કે ગુજરાત પોલીસ વિભાગની સોશિયલ મીડિયા ઉપર ચાંપતી નજર રહેલી છે.'


હવે લગ્નમાં 50 વ્યક્તિની જ મર્યાદા


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચારે બાજુ કોરોના સંક્રમણ ફેલાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે એવી સ્થિતિમાં રાજ્ય સરકારે થોડાંક દિવસો અગાઉ જ એવો આદેશ જાહેર કર્યો હતો કે, હાલમાં કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા રાજ્યમાં સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીમાં માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. 50 ટકા સ્ટાફ ઑલ્ટરનેટિવ ડે સાથે કામ કરે તેવો નિયમ જાહેર કર્યો હતો. આ સાથે જ લગ્નમાં પણ જાહેર કાર્યક્રમો નહીં થઈ શકે અને લગ્ન સમારંભની મર્યાદા પણ 50 વ્યક્તિની કરવામાં આવી હતી.'


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5877 પર પહોંચી ગયો છે.   


રાજ્યમાં આજે 5,010 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,55,875 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 92 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92084 પર પહોંચ્યો છે. જેમાંથી 376 લોકો વેન્ટિલેટર પર અને 91708 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.41 ટકા છે.