ગાંધીનગર :  ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે.  રાજ્યના વાહનચાલકોને  રાહત આપતો  નિર્ણય  સરકારે કર્યો છે. હવે પછી પોલીસ વાહનચાલકો પાસેથી માસ્કના દંડ  સિવાય અન્ય કોઈપણ દંડની વસૂલાત નહીં કરે. ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ હાલ પોલીસ દ્વારા કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.  


ટ્રાફિક નિયમ ભંગ કરનારના વાહન પણ ડિટેઈન નહીં કરાય મુખ્યમંત્રી રૂપાણીએ કેબિનેટની બેઠકમાં હાલ કોરોનાની સ્થિતિને જોતાં RTOમાં થતી ભીડ અટકાવવા આ નિર્ણય કર્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ બદલ વાહનો ડિટેઈન કરાય છે, તેને છોડાવવા રાજ્યભરની RTO કચેરીમાં ભારે ભીડ થાય છે. આને કારણે પણ કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો રહે છે. અત્યારે કોઈ પણ સ્થળે ભીડ ભેગી ન થાય તે રાજ્ય સરકારની અગ્રિમતા છે આ બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે.



ટ્રાફિક પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરી વાહનો ડિટેઈન કરાય છે. આ ડિટેઈન કરાતા વાહનો પર બેથી આઠ હજાર રૂપિયા સુધીનો દંડ વાહનચાલકોને કરવામાં આવે છે. આ ઉપરાંત ડિટેઈન કરેલા વાહનોને છોડાવવા માટે વાહનચાલકોના RTO કચેરીમાં ધક્કા-ફેરા વધી જાય છે. આ કારણે મોટાપાયે કોરોના સંક્રમણ ફેલાવાનો ડર રહેલો હોવાની રાજ્ય સરકાર સમક્ષ વ્યાપક રજૂઆતો થઈ હતી. આને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.