પોરબંદર: કેન્દ્ર સરકાર દ્વારા આગામી 17 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેમ રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોનમાં જીલ્લાની વહેંચણી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર જીલ્લામાં કોરોનાના ત્રણ કેસ બાદ એક પણ કેસ નોંધાયો નથી જેના કારણે પોરબંદર જીલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને ગ્રીન ઝોનમાં ઘણી બધી છુટ આપવામાં આવી છે.


પોરબંદર જિલ્લો ગ્રીન ઝોન હોવાથી પાન-ફાકીની દુકાનોને મંજુરી આપવામાં આવશે તેવી સરકારની જાહેરાતને પગલે પાન-ફાકી ખાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે પોરબંદરનુ વહીવટી તંત્ર મંજુરી આપશે કે કેમ તે પણ એક સવાલ છે જેને લઈ પાન-માવાના બંધાણી મુઝવણમાં છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં ગ્રીન ઝોનમાં કુલ પાંચ જિલ્લા આવે છે, જ્યાં પાન મસાલાની દુકાનો ખોલવામાં આવશે. આ પાંચ જિલ્લામાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકાનો સમાવેશ થાય છે.

જોકે કેન્દ્ર સરકારે આ છૂટ આપી છે અને તેના પર અંતિમ નિર્ણય રાજ્ય સરકારે કરવાનો છે. એટલે કે રાજ્ય સરકાર ઇચ્છે તો આ છૂટને પરત લઈ શકે છે. માટે હવે જોવાનું રહેશે કે 3 મે પહેલા રાજ્ય સરકાર આ મામલે કોઈ અલગ નિર્ણય કરે છે કે પછી કેન્દ્ર સરકારના નિર્ણયનું પાલન કરે છે.