ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી શાળાઓની ફીમાં ઘટાડો કરવા મુદ્દે 29 સપ્ટેમ્બરે વાલી મંડળ સાથે વિજય રૂપાણી સરકારની બીજી બેઠક યોજાવાની છે ત્યારે ટ્યુશન ફીમાં 50 ટકા માફીની માંગ ઉપર ઓલ ગુજરાત વાલીમંડળ મક્કમ છે. વાલી મંડળ સાથે વિજય રૂપાણી સરકારની બીજી બેઠક 29 સપ્ટેમ્બરે બપોરે 12 વાગે ગાંધીનગરમાં યાજશે. વાલીમંડળના પ્રતિનિધીઓની શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થવાની છે ત્યારે વાલીમંડળે 50 ટકાથી ઓછી ફી માફી નહી સ્વીકારવા નિર્ણય કર્યો છે.


ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી મુદ્દે સંચાલકો સાથે સરકારે બેઠક કર્યા પછી ગયા સપ્તાહે વાલી મંડળો સાથે બેઠક કરી પણ તેમાં કોઈ નક્કર નિર્ણય ના લેવાતાં હવે 29 સપ્ટેમ્બરે ફરી બેઠક બોલાવીને નિર્ણય લેવાશે. બુધવારે વિજય રૂપાણી કેબિનેટમાં આ ફોર્મ્યુલાને મંજૂરી આપીને બુધવારે જાહેરાત કરાય તેવી શક્યતા છે.

દરમિયાનમાં એક અગ્રણી ગુજરાતી અખબાર દ્વારા દાવો કરાયો છે કે, ખાનગી શાળાના સંચાલકો 25 ટકા ફી ઘટાડા માટે તૈયાર થઈ ગયા છે. રાજ્ય સરકારે સંચાલક મંડળો સાથે અગાઉ બે વાર મીટિંગ કરી 25 ટકા ફી ઘટાડાની દરખાસ્ત કરી હતી પરંતુ સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. હાઈકોર્ટે સરકારને જ પોતાની સત્તાનો ઉપયોગ કરી નિર્ણય લેવાનો આદેશ કરતા સરકારે ફરીથી સંચાલક મંડળોની મીટિંગ બોલાવી હતી. સરકાર પોતાની સત્તાનો ઉપયોગ કરી કડક પગલા લે તેના ડરથી ખાનગી સ્કૂલોના સંચાલકો હાલ 25 ટકા ફી ઘટાડા માન્યા છે એવો દાવો આ અહેવાલમાં કરાયો છે.

ગુજરાતના સ્વનિર્ભર સંચાલક મંડળ સાથે ગયા અઠવાડિયે થયેલી મીટિંગમા સરકારે સંચાલકોને સમજાવ્યા હતા અને સરકારની સમાધાનકારી ફોર્મ્યુલા હેઠળ વાલી મંડળોની મીટિંગ બોલાવી વાલી મંડળોને પણ સમજાવ્યા હતા. વાલી મંડળો હજુ 25 ટકા ફી ઘટાડા માટે સહમત થયા નથી અને વાલી મંડળોની માંગ 25 ટકાથી વધુ અને 50 ટકા સુધી ઘટાડાની છે. આ અંગે હવે પછીની બેઠકમાં નિર્ણય લેવાઈ જાય તેવી શક્યતા છે.