Patan News: પાટણમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેન્ગ સક્રિય થઇ ગઇ છે. ગઇકાલે મોડી રાત્રે રહેણાંક વિસ્તારોમાં કેટલાક ઘરોમાં ઘૂસીને આ ચોર ટોળકીને લાખોની લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. પોલીસે આ અંગે શોધખોળ શરૂ કરી દીધી છે. 




મળતી માહિતી પ્રમાણે, પાટણમાં ચડ્ડી બનિયાનધારી ગેન્ગે આતંક મચાવવાનું શરૂ કરી દીધુ છે. પાટણ શહેરના પદ્મનાભ ચાર વિસ્તારમાં ગઇ મોડી રાત્રે ચડ્ડી બનિયાનધારી ગેન્ગ ત્રાટકી હતી, પાંચ જેટલાં ચડ્ડી બનિયાનધારી ગેન્ગ ચોરો હાથમાં કોસ અને બીજા કેટલાક ઘાતક હથિયારો લઇને આ સોસાયટીમાં પ્રવેશ્યા હતા, જ્યાં મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સોસાયટીમા લગાવેલા CCTVમા ચડ્ડી બનિયાનધારી ગેન્ગ કેદ થઇ ગઇ હતી.




ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે, આ ગેન્ગના પાંચ જેટલાં ચોર સભ્યોના હાથમાં કોસ સહિતના ઘાતક હથિયાર છે. આ પછી યસવીલા સોસાયટીના 3 મકાનો અને નીલકંઠ હૉમ્સમાં એક મકાનમાં મોટી ચોરીને અંજામ આપ્યો હતો. આ ચડ્ડી બનિયાનધારી ગેન્ગ અહીંથી 4.92 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી થયાં ફરાર થઇ ગઇ હતી. બે ચોર એક ઘરની દિવાલ કુદી અંદર પ્રવેશ કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસના રાત્રી દરમ્યાન પેટ્રૉલિંગ સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે.




ફિલ્મી સ્ટાઇલે લૂંટની ઘટના, બાઇક પર 3 લૂંટારૂઓ આવ્યા, વેપારીને ચપ્પૂના ઘા મારીને 8 લાખ લઇ ફરાર


સુરતમાં ફિલ્મી સ્ટાઇલે લૂંટની ઘટના ઘટી છે, અહીં ત્રણ લૂંટારુઓએ એક વેપારીને ફિલ્મી ઢબે લૂંટ્યો અને બાદમાં તેના પર હૂમલો કરીને ફરાર થઇ ગયા હતા. હાલમાં આ મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


માહિતી પ્રમાણે, સુરતના અડાજણ વિસ્તારમાં એક વિચિત્ર રીતે ફિલ્મી ઢબે લૂંટ થયાની ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી છે, ખરેખરમાં, શહેરના અડાજણ એલ.પી સવાણી રૉડ પર તમાકુના એક વેપારીને લૂંટી લેવામાં આવ્યો હતો, જ્યારે તમાકુનો વેપારી દુકાન બંધ કરીને પોતાની મૉપેડ પર જઇ રહ્યો હતો, તે સમયે મૉપેડ પર જ ત્રણ શખ્સો આવ્યા, આ ત્રણેય લૂંટારુઓ હતા જેમને તમાકુના વેપારીને પહેલા ચપ્પૂના ઘા મારી ઘાયલ કરી દીધો અને બાદમાં તેની પાસેથી 8 લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા તમાકુના વેપારીને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. અડાજણ પોલીસે આ લૂંટ અંગે ગુનો નોંધીને લૂંટારુઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. 


પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી


સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરકંકાસને લઈ પરિવાર વિખેરાઈ ગયો છે. પતિએ પત્નીની કરપીણ હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે. સંતાનમાં બંને દીકરીઓ એક વડોદરા અને બીજી અમદાવાદ અભ્યાસ કરે છે.  ઘટનાની જાણકારી મળતા જ બંને દીકરીઓ સુરત આવી પહોંચી હતી. જોકે હાલ પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને સોનીની મજૂરી કામ સાથે સંકળાયેલા વ્યક્તિએ માનસિક તણાવમાં આ પગલું ભરી લીધું હતું. પહેલા પત્નીને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં પોતે પણ હાથની નસ કાપી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૂળ મહારાષ્ટ્રના અને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહીને સોનીની મજૂરીકામ કરતાં રાજુભાઈ છેલ્લા એકાદ વર્ષથી બિમારીના કારણે ડિપ્રેશનનો ભોગ બની ગયાં હતાં. આ ડિપ્રેશનના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડાઓ થતાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે માનસિક તણાવમાં જ રાજુભાઈએ પોતાની પત્નીની હત્યા બાદ પોતે પણ આપઘાત કરી લઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ચકચારી ઘટનાના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ડિંડોલી ખાતે આવેલા કૈલાશ નગરમાં રહેતા બે સંતાનના પિતા છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતા હતાં. બિમારીના કારણે ડિપ્રેશનમાં રહેતા રાજુભાઈને સંતાનમાં બે દીકરીઓ હતી. મૃતક પત્ની સાયલા બેન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહિલા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેવાના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ  અંતિમ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે.