નવસારીમાં આવેલ ગણદેવી સામુહિક આરોગ્ય કેંદ્ર કે જ્યાં મોડી રાતથી જ લોકોએ રસી માટે લાઈન લગાવી અને રસીકરણમાં પોતાનો નંબર આવે તે માટે લોકોએ સેંટર બહાર જ રાતવાસો કર્યો હતો.


યુવાનો, મહિલા, વૃદ્ધો સહિતના લોકોએ સેન્ટરની બહાર લાઈન લગાવી ત્યાં સૂઈ ગયા હતા. તેમનું કહેવું છે રસી લેવી છે પરંતુ નંબર નથી આવતો. ધક્કા ખાવા પડી રહ્યા છે. તો બીજી બાજુ વેપારીઓનું કહેવું છે કે 31 જુલાઈ સુધી રસી લેવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ રસીના ડોઝ જ નથી મળી રહ્યા છે. ધંધા રોજગાર મૂકી રસી લેવા માટે આવીએ છીએ. પરંતુ રસી ન મળતા પારત ફરવું પડે છે. જેથી નંબર આવે અને ટોકન મળે તે માટે લોકો રાતવાસો કરવા મજબૂર બન્યા છીએ.


ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સવારે સાત વાગ્યાથી ટોકન આપવામાં આવે છે. અને ત્યારબાદ રસીકરણની શરૂઆત થાય છે. પરંતુ રોજ કેંદ્ર પર અંદાજીત 50 જેટલા જ ડોઝ આપવામાં આવતા હોવાથી અમુક લોકોનો નંબર આવતો નથી. અને લોકોને ધક્કા ખાઈ પાછા ફરવું પડે છે. જેથી લોકો હવે રાતવાસો કરીને પણ રસી મળે અને ટોકન મળે તેની રાહ જોઈ રહ્યા છે. અને આરોગ્ય વિભાગ સહેલાઈથી રસી મળી રહે તેવું આયોજન કરે તેવી માંગ કરી રહ્યા છે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 33 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 4,39,045 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


અત્યાર સુધી 268 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 263 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,485 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે ગઈકાલે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 33 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં રસીકરણ


રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 170 લોકોને પ્રથમ અને 10101 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 79542 લોકોને રસીનો પ્રથમ અને 72608 લોકોને રસીનો બીજો ડોઝ આજ અપાયો હતો. 18-45 વર્ષના 233552 લોકોને રસીનો પ્રથમ અને 43072 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં ગઈકાલે કુલ 4,39,045 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,26,14,461 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.