PM Kusum Yojana: ગુજરાતના ખેડૂતો હવે પર્યાવરણને અનુકૂળ અને આર્થિક રીતે ફાયદાકારક સોલાર પંપનો ઉપયોગ કરી રહ્યા છે. રાજ્ય સરકારની પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીના કારણે ખેડૂતોને આ દિશામાં પ્રોત્સાહન મળી રહ્યું છે.
વર્ષ 2019માં કેન્દ્ર સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને વીજળીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા અને સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન (PM કુસુમ) યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
ગુજરાતમાં યોજનાનો વ્યાપક અમલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આ યોજનાના વ્યાપક અમલીકરણ માટે સક્રિયપણે કામ કરી રહી છે. જેના પરિણામે ડિસેમ્બર 2024 સુધીમાં રાજ્યના 7700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે. રાજ્ય સરકારે આ યોજના અંતર્ગત ખેડૂતોને ₹218 કરોડથી વધુની સબસિડી ચૂકવી છે, જે અંદાજિત 70 ટકા સુધીની સહાય છે.
સોલાર પંપના ફાયદા
ઓફગ્રીડ સોલાર પંપની મદદથી ખેડૂતોને વીજળીની બચત થવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થઈ રહ્યો છે.
લાભાર્થીનો પ્રતિભાવ
જૂનાગઢના ભેંસાણ તાલુકાના હડમતિયા (ખાખરા) ગામના લાભાર્થી વિજયાબેન વી. આસોદરિયા જણાવે છે કે આ પંપ લગાવ્યા બાદ તેઓ દિવસ દરમિયાન આઠથી દસ કલાક સુધી પંપ ચલાવી શકે છે અને તેમાં કોઈ પણ જાતના વીજળીના સપ્લાયની જરૂર રહેતી નથી. આ પંપમાં પાંચ વર્ષ સુધી કોઈ નિભાવ ખર્ચ પણ નથી અને તેમની ખેતીમાં ઉપજ અને આવકમાં વધારો થયો છે. આ પંપ સૂર્ય ઊર્જાથી ચાલતો હોવાથી પ્રદૂષણ પણ થતું નથી.
નર્મદા જિલ્લો મોખરે
આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં સૌથી વધારે 5100થી વધુ સોલાર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે. સોલાર પંપની સંખ્યાની દૃષ્ટિએ ટોપ ટેન જિલ્લાઓમાં નર્મદા બાદ વલસાડ, બનાસકાંઠા, ડાંગ, મહિસાગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, તાપી, કચ્છ અને નવસારીનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારનું લક્ષ્ય
કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2026 સુધીમાં 12382 સ્ટેન્ડઅલોન ઓફ ગ્રીડ સોલાર પંપ સ્થાપિત કરવા ગુજરાત રાજ્યને સેન્ક્શન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો....
ખેડૂતો માટે ખુશખબર? પીએમ કિસાન યોજનાને લઈ સામે આવ્યું મોટું અપડેટ