ગાંધીનગર:  પ્રધાનમંત્રી મોદીએ આજે અમદાવાદમાં  ખાદી ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપી અને અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.  બાદમાં પ્રધાનમંત્રી ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબાને  મળવા પહોંચ્યા હતા. માતા હિરાબા સાથે મુલાકાત કર્યા બાદ ગાંધીનગર રાજભવન જવા માટે રવાના થયા હતા. અટલબ્રિજની મુલાકાત બાદ માતા હીરાબાના આશીર્વાદ લેવા પીએમ મોદી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદીએ માતા હીરાબા સાથે 26 મિનિટ જેટલો સમય પસાર કર્યો હતો. રાયસણમાં માતા હીરાબા સાથે મુલાકાત કરવા પીએમ મોદી પહોંચ્યા હતા. પીએમ મોદીના માતા હીરાબા રાયસણમાં રહે છે. આ પહેલા પીએમ મોદીએ માતા હીરાબાના 100માં જન્મદિવસ પર તેમની સાથે મુલાકાત કરી હતી.


7500 ખાદી કારીગરો સાથે પીએમ મોદીએ 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો


અમદાવાદ રિવરફ્રન્ટ પર પીએમ મોદીની હાજરીમાં ખાદી ઉત્સવ યોજાયો. ખાદી ઉત્સવમાં રેકોર્ડ સર્જાયો છે.  આ ખાદી ઉત્સવમાં 7500 ખાદી કારીગરોએ ભાગ લીધો. વડાપ્રધાન મોદીએ 94 વર્ષ જેનો ખાદીનો ચરખો કાંત્યો. પીએમ મોદી સાથે  7500 ખાદી કારીગરો પણ ચરખા કાંત્યાં અને રેકોર્ડ સર્જાયો છે.


ખાદી ઉત્સવમાં પીએમ મોદીએ કર્યું સંબોધન 


ખાદી ઉત્સવમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે મને ખાતરી છે કે અહીં હાજર દરેક વ્યક્તિ, આ કાર્યક્રમ જોનાર દરેક વ્યક્તિ આજે અહીં 'ખાદી ઉત્સવ'ની ઉર્જાનો અનુભવ કરશે. આઝાદીના અમૃત મહોત્સવમાં આજે 'ખાદી ઉત્સવ' કરીને દેશે પોતાના સ્વાતંત્ર્ય સેનાનીઓને સુંદર ભેટ આપી છે.


ઈતિહાસ સાક્ષી છે કે ખાદીનો એક દોરો આઝાદીની ચળવળનું બળ બન્યો, તેણે ગુલામીની સાંકળો તોડી નાખી. ખાદીનો એ જ દોરો વિકસિત ભારતના વચનને પૂર્ણ કરવા, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે.


આઝાદીની ચળવળ વખતે ગાંધીજીએ જે ખાદીને દેશનું સ્વાભિમાન બનાવ્યું હતું, એ જ ખાદી આઝાદી પછી ઇન્ફિરીઓરિટી કોમ્પ્લેક્સથી ભરેલી હતી. જેના કારણે ખાદી અને ખાદી સાથે સંકળાયેલ ગ્રામોદ્યોગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ખાદીની આ સ્થિતિ ખાસ કરીને ગુજરાત માટે ઘણી પીડાદાયક હતી.


સાબરમતીનો આ કિનારો આજે ધન્ય બની ગયો છે.આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે 7,500 બહેન-દીકરીઓએ એકસાથે સૂત કાંતીને એક નવો ઈતિહાસ રચ્યો છે. આ મારું સદ્ભાગ્ય છે કે મને પણ સૂતર કાંતવાનો થોડો સમય મળ્યો છે.


7500 મહિલાઓ એકસાથે ચરખા કાંત્યા


ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી 7500 ખાદી કારીગર મહિલાઓએ એક જ સમયે અને એક જ જગ્યાએ ચરખા કાંતતા 'ખાદી ઉત્સવ'માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં એક પ્રદર્શન પણ જોવા મળ્યું હતું, જેમાં 1920ના દાયકાથી ઉપયોગમાં લેવાતી વિવિધ પેઢીઓના 22 ચરખાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમાં 'યરવડા ચરખા' જેવા ચરખાનો સમાવેશ થાય છે, જે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઉપયોગમાં લેવાતા ચરખાનું પ્રતીક છે.


ખાદી ઉત્સવની વિશેષતા 


ખાદી ઉત્સવ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદીના મહત્વને દર્શાવવા માટે કેન્દ્રના 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ આયોજિત એક અનોખી ઘટના છે.


આ કાર્યક્રમમાં 1920થી વપરાતા 22 ચરખાઓનું પ્રદર્શન કરીને 'ચરખા'ની વિકાસ યાત્રા પર એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું.