Gujarat assembly election 2022: ભરૂચના નેત્રંગમાં પીએમ મોદીએ જનસભામાં સંબોધી હતી. ગુજરાત ભાજપની ટીમને સંકલ્પપત્ર જાહેર કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાત વિકસિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંકલ્પપત્રને આધારે ભાજપને હવે પહેલા કરતા વધુ સીટ મળશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, પહેલા 3 ધોરણ ભણીને દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી આજે આદિવાસી દીકરીઓ ભણીગણીને દેશનું નામ રોશન કરી રહી છે.


નેત્રંગ સભામાં પીએમ મોદીએ બે બાળકોનો ઉલ્લેખ કર્યો હતો. ગરીબ બાળકોની દયનિય પરિસ્થિતિનો વાઇરલ વિડીયો જોયા બાદ મુલાકાત માટે નેત્રંગ બોલાવ્યા હતા. મોદીએ બાળકોને સભા સ્થળ પાછળ સમય આપ્યો હતો. બાળકોને આવાસ અને ઉજ્જવળ ભાવિ માટે તમામ મદદની ખાતરી આપી હતી. આ બાળકોના માતા પિતા 6 વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. બાળકો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક બાળકનું નામ અવી છે અને તેને કલેકટર અને બીજા બાળકનું નામ જય છે અને તેને ઈજનેર બનવું છે.


 ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે કોની માટે કર્યો પ્રચાર ? 


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન પાટણની સિદ્ધરપુર વિધાનસભા બેઠક પર ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું. વામૈયા ગામે કોગ્રેસની જાહેર સભામાં ડો. જયનારણ વ્યાસ જોવા મળ્યા હતા. ડો.જય નારાયણ વ્યાસે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. સભામા ડો. જય નારાયણ વ્યાસની ઉપસ્થિતિને લઇ નવા જૂનીના એંધાણ છે. ફરી એકવાર ડો. જય નારાયણ વ્યાસ કોગ્રેસમાં જોડાઈ શકે છે તેવા અનુમાન સામે આવ્યા  છે. ઉલ્લેખનીય છે છે કે ભાજપના સિનિયર નેતા ડો જય નારાયણ વ્યાસે થોડા સમય અગાઉ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું હતું.


સિદ્ધપુરમાં કોની કોની વચ્ચે છે જંગ


સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત, કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂત વચ્ચે જંગ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.


કલોલ કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરનો મોટો આરોપ


કલોલના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ભાજપ ઉપર આરોપ લગાવતાં કહ્યું, ભાજપ કલોલમાં સરકારી પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ અધિકારીઓ કોંગ્રેસ કાર્યકરો આગેવાનોને ધમકાવે છે, કોંગ્રેસમાં નિષ્ક્રિય થઇ જવા કોંગ્રેસ આગેવનોને પોલીસ દબાણ કરે છે, કલોલ વિધાનસભામાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે, કલોલના વેપારીઓ, બિલ્ડર્સને પણ કોંગ્રેસને ટેકો નહિ આપવા ધમકી અપાય છે. જો પોલીસની ધાક ધમકી દૂર નહિ થાય તો પ્રાંત અધિકારી કચેરી સમક્ષ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.