Somnath Swabhiman Parv: પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં ભક્તિ, શક્તિ અને ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. દેશના વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટ (Shree Somnath Trust) ના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' (Somnath Swabhiman Parv) ની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
આકાશમાં રચાયો અદ્ભુત નજારો (Magnificent Drone Show)
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાત્રિના સમયે યોજાયેલ અત્યાધુનિક ડ્રોન શો (Drone Show) રહ્યો હતો. અંધકારભર્યા આકાશમાં સેંકડો ડ્રોન્સ દ્વારા સોમનાથ મંદિરની 1000 વર્ષની 'સ્વાભિમાન યાત્રા'નું સચિત્ર અને ભાવસભર નિરૂપણ કરવામાં આવ્યું હતું. આકાશમાં સર્જાયેલી દિવ્ય આકૃતિઓએ સમગ્ર પ્રભાસ ક્ષેત્રને ભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવથી ઝળહળતું કરી દીધું હતું. ઉપસ્થિત સૌ કોઈ આ નયનરમ્ય નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
પીએમ મોદીએ કર્યા ઓમકાર જાપ (Omkar Jap by PM Narendra Modi)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમનાથ મંદિરમાં વિશેષ દર્શન કર્યા હતા અને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં લીન થઈને 'ઓમકાર જાપ' (Omkar Chanting) કર્યા હતા. મંદિરના ગર્ભગૃહથી લઈને સમગ્ર પરિસર ઓમકારના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ પવિત્ર અવસરે સૌરાષ્ટ્રના નામાંકિત સાધુ-સંતો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જૂનાગઢ સાધુ અખાડાના પ્રમુખ ઈન્દ્રભારતી બાપુ (Indrabharti Bapu), મહામંડલેશ્વર મહેન્દ્રનાથ ગિરી બાપુ અને શેરનાથ બાપુ સહિતના વરિષ્ઠ સંતોએ હાજરી આપીને વાતાવરણને ધર્મમય બનાવ્યું હતું.
જનમેદનીનો અનેરો ઉત્સાહ (Huge Crowd Enthusiasm)
ડ્રોન શો અને પૂજા-અર્ચના બાદ જ્યારે વડાપ્રધાન મંદિરની બહાર નીકળ્યા ત્યારે અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. ભલે સુરક્ષા વ્યવસ્થા (Security) અત્યંત કડક હતી, તેમ છતાં પીએમ મોદીનું અભિવાદન ઝીલવા માટે રસ્તા પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોમાં પોતાના પ્રિય નેતાની એક ઝલક પામવાનો અને આ ઐતિહાસિક પળને પોતાના મોબાઈલ કેમેરામાં કંડારવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણેથી આવેલા લોકોએ 'મોદી-મોદી' અને 'હર હર મહાદેવ'ના નાદ સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.