ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ સંગીતકાર મહેશ કનોડિયાના નિધન પર PM મોદીએ દુખ વ્યક્ત કર્યું, ટ્વીટ કરીને શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Oct 2020 02:39 PM (IST)
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, “ગુજરાતના મશહૂર સંગીતકાર અને ગાયક મહેશ કનોડિયાના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવવામાં તેઓએ મહત્વનો ફાળો આપ્યો.
ગાંધીનગર: ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે નિધન થયું છે. મહેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડીયાના મોટા ભાઈ હતા. મહેશ કનોડિયાએ ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. મહેશ કનોડિયાના નિધનથી ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઈ અનેક રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ હિતુ કનોડિયા સાથે ફોન પર વાત કરી શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, “ગુજરાતના મશહૂર સંગીતકાર અને ગાયક શ્રી મહેશ કનોડિયાના અવસાનથી દુઃખ અનુભવું છું. શ્રી મહેશ કનોડિયાએ ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓની લાંબા સમયની સંસદસભ્ય તરીકેની પ્રભાવી કામગીરીનો હું નજીકથી સાક્ષી રહ્યો છું.” મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો હતો. મહેશ કનોડિયા તેઓ 32 અલગ અલગ કલાકારોના અવાજમાં ગાતા હતા. તેઓ સતત બે ટર્મ સુધી પાટણની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ 2018માં ડોકટરની પદવીથી નવાજ્યા હતા. તેમને કલા અને સંગીત ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીલીટી ની પદવી અપાઈ હતી. મહેશ કનોડિયા વિદેશની ધરતી પર સૌપ્રથમ પર્ફોર્મ કરનારા ગુજરાતી કલાકાર હતા. મહેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મો સિવાય ગરબા, લોકસંગીત અને અનેક આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. તેઓએ દેશ અને વિદેશમાં અનેક મ્યૂઝિકલ કાર્યક્રમો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નરેશ કનોડિયા કોરોના વાયરસથી સંક્રમિત થતા સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.