જૂનાગઢઃ એશિયાના સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત રહ્યા હતા. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજના પણ શરૂ કરાઇ છે. રોપવે દ્વારા 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપી શકાશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવાયો છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મને આનંદ છે કે કિસાન સૂર્યોદય યોજનાથી ગુજરાત નવી પહેલ સાથે આગળ વધશે. ભારત આજે સોલાર પાવર ઉત્પાદન અને ઉપયોગમાં દેશના ગણતરીના દેશોમાં છે. કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે ખુબજ લાભદાયી રહેશે.



આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ખેડૂત, ખેતી અને ગામડું સમૃદ્ધ કરવા માટે સરકાર કામ કરી રહી છે. કિસાન સૂર્યોદય યોજના મારફતે 1055 ગામડાના ખેડૂતોને દિવસે વીજળી અપાશે. જ્યોતિગ્રામ યોજનાના કારણે ગુજરાત 24 કલાક વીજળીથી ઝળહળતું છે. આ સરકાર ખેડૂતોની સરકાર છે.

ગીરનાર રોપવે મુદ્દે જણાવ્યું હતું કે રોપવે મારફતે વધુને વધુ લોકો ગિરનારના દર્શન કરે તે માટે પ્રયાસ કરાઈ રહ્યો છે. ડોળીવાળા ભાઈઓને પણ યાદ કરૂ છું. લાખો લોકોને દર્શન કરાવવાનું પુણ્યનું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાના કાળ વચ્ચે પણ વિકાસ આગળ વધતો રહે તે માટે કામ કરી રહ્યાં છીએ. આપણા સપના પૂર્ણ થઈ રહ્યાં છે. એટલે અમે આપનો આભાર માનીએ છીએ. ગુજરાત હંમેશા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જે માર્ગ બતાવ્યો એ માર્ગ પર જ આગળ વધી રહ્યું છે.



આજે વડાપ્રધાન મોદી દ્વારા કિસાન સૂર્યોદય યોજનાનું ઈ-લોકાર્પણ કરાયું છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી વધુ ગામડાને આવરી લેવાયા છે. ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી અપાશે. માળખાકીય સુવિધા ઉભું કરવા માટે આગામી 3 વર્ષ માટે રૂપિયા 3500 કરોડની જોગવાઈ કરાઇ છે.

2.3 કિ.મી. લંબાઇ ધરાવતા ગીરનાર રોપ-વેના રૂટ પર 9 ટાવર ઉભા કરવામાં આવ્યા છે. એક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે. 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુઓ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.

જૂનાગઢ રોપ-વેની ટિકિટનો દર કંપની દ્વારા નક્કી કરાયો છે. એશિયાના સૌથી મોટો રોપ-વેમાં બેસવા માટે રૂપિયા 750 ટૂવે નક્કી કરાયા છે. બાળકો માટેની ટિકિટનો દર 350 રૂપિયા નક્કી કરાયો છે અને રોપ-વેની વન-વે ટિકિટ 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે.