ભરૂચના ઈખરમાં 4 તબલગી કોરોનો પોઝિટવ, ચારેય બીજા રાજ્યના, જાણો કઈ રીતે આવેલા ઈખર અને ક્યાં છૂપાયા હતા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Apr 2020 02:20 PM (IST)
તંત્ર દ્ધારા ઇખર ગામને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યું હતું. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરાઇ હતી. સાથે ગામમાં આરોગ્ય વિભાગની ટીમને ઉતારાઇ હતી.
ભરૂચઃ ભરૂચના ઇખર ગામે આશરો લઇ રહેલા ચાર જમાતીઓનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. તમામ દર્દીઓને તમામ દર્દીઓને અંકલેશ્વરની ક્વોરેન્ટાઇન જાહેર કરાયેલી જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તંત્ર દ્ધારા ઇખર ગામને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યું હતું. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરાઇ હતી. સાથે ગામમાં આરોગ્ય વિભાગની ટીમને ઉતારાઇ હતી. મળતી જાણકારી અનુસાર, કોરોના પોઝિટીવ ચારેય જમાતીઓ તમિલનાડુથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવ્યા હતા. બાદમાં રોડ મારફતે ભરૂચ આવીને 12 થી 17 માર્ચના રોજ એક મસ્જિદમાં રોકાયા હતા. 17 માર્ચના રોજ તે ભરૂચથી ઇખર રવાના થયા હતા અને 22 માર્ચ સુધી ઇખરની એક મસ્જિદમાં રોકાયા હતા. 23 માર્ચના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્ધારા તમામની ઓળખ કરાઇ હતી અને તેમને ઇખર ખાતે એક ખાલી મકાનમાં ક્વોરેન્ટાઇન કરાયા હતા. ઇખર ગામમાં કોરોના પોઝિટીવ મળતા ગામની સાત કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારને કોવિડ-19 કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરાયો છે. આ એરિયામાં આમોદ તાલુકાના ઓરછણ, સુથોદરા, તેલોદ, માતર, દાંડા, દોરા, કોઠી, કરેણા તો ભરૂચ તાલુકાના કંબોલી, સીમલિયા, કિસનાડ અને પાલેજ ગામની હદને 23 એપ્રિલ સુધી સીલ કરવામાં આવી છે.