Cyclone in Gujarat: બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય એ પહેલા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને આગાહી કરી છે.


ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, જીલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. સાથે પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં આગામી 3 કલાક દરમિયાન વરસાદ પડી શકે છે.


વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગે લેટેસ્ટ બુલેટીનમાં વાવાઝોડાને લઈને મહત્ત્વની માહિતી આપી છે. જે અનુસાર ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” (જેનો ઉચ્ચાર “બિપોરજોય”) છેલ્લા 6 કલાક દરમિયાન 6 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું અને તે 15મી જૂન, 2023ના રોજ IST 0530 કલાકે અક્ષાંશ 22.5°N અને રેખાંશ 67.0°E નજીક કેન્દ્રિત હતું. વાવાઝોડું જખૌ બંદર (ગુજરાત)થી લગભગ 180 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં, દેવભૂમિ દ્વારકાથી 210 કિમી પશ્ચિમે, નલિયાથી 210 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં, પોરબંદરથી 290 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાંઅને 270 કિમી કરાચી (પાકિસ્તાન) ના દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં છે.


15મી જૂનની સાંજ સુધીમાં તે ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છ અને માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના જખૌ બંદર (ગુજરાત) નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે, કારણ કે તે 115ની મહત્તમ પવનની ઝડપ સાથે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન છે. 125 કિમી પ્રતિ કલાકથી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


છેલ્લા 24 કલાકમાં વરસાદ


વાવાઝોડુ બિપરજોય ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાત સાથે તેને ટક્કર આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ પહેલા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા છે. દરમિયાન, બુધવારે (14 જૂન) ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ શરૂ થયો છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.


વાવાઝોડા પહેલા ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે. સરકારે બહાર પાડેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 115 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો, કેશોદમાં પોણા 2 ઈંચ, ધ્રોલમાં દોઢ ઈંચ વરસાદ, ભુજમાં અને અમરેલીના લીલીયામાં દોઢ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં સવા ઈંચ વરસાદ, ખાંભા, કલ્યાણપુર, જામકંડારણામાં એક ઈંચ વરસાદ, માંગરોળ, વંથલી, કાલાવડ અને બગસરામાં પોણા ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમરેલી, ભાવનગર, જુનાગઢના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. બિપરજોય વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.