ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આશરે 10 હજારથી વધુ જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે કરાશે શિક્ષકોની કાયમી ભરતી કરાશે. આજે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત થાય એવી શક્યતા છે. 


હવે ગુજરાત સરકારે રાજ્યમાં મોટાભાગે શિક્ષકોની કાયમી ભરતી કરવાનું નક્કી કરી લીધું છે. એટલું જ નહીં કાયમી શિક્ષકોની ભરતી માટે ગુજરાત સરકારે પ્લાન પણ તૈયાર કરી દીધો છે. હાલ તેને લઇને અંતિમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજના રદ કરી એના સ્થાને બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. 


આ વખતે એક સાથે ૧૦ હજાર જેટલી જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. થોડા સમય પહેલાં મળેલી કેબિનેટમાં પણ આ મુદ્દે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર એક સાથે આટલાં બધા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવશે. ટેટ ૨ પાસ ઉમેદવારોની ભરતી વધુ થવાની શક્યતા રહેલી છે. જ્યારે ટેટ ૧ પાસ કરનારા ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી હોવાથી ભરતી ઓછી થશે. અગાઉ પણ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્યમાં સરકારે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે.


શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આગામી સમયમાં ગુજરાત સરકાર પ્રાથમિકની સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરશે.