સંતરામપુરઃ મહીસાગર જિલ્લામાં ખાનગી બસને અકસ્માત નડ્યો છે. સંતરામપુર તાલુકાના પઢારિયા ગામે ખાનગી ટ્રાવેલ્સ પલતા 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનુ અનુમાન છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


મજૂરો લઈને જતી ખાનગી ટ્રાવેલ્સ પલ્ટી મારતાં અંદર રહેલા મોટાભાગના મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે. કોઈ જાન હાની હજુ સુધી થઈ નથી. 5 થી વધુ લોકોની હાલત ગંભીર છે. સ્થાનિકો તેમજ 108 ની મદદથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રોડ પર અવર નવર આજ રીતે ખાનગી વાહનો ઓવર લોડ જાય છે અને અકસ્માત સર્જાય છે.

કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રાવેલ્સ મજૂર વર્ગને લઈને સંજેલીથી રાજકોટના કાલાવડ જઈ રહી હતી. પઢારિયા પાસે વળાંકમાં ટ્રાવેલ્સ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ઘટના બની હતી. વળાંકમાં રોડ છોડી ટ્રાવેલ્સ રોડ સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી. 4 જેટલી 108 ની મદદ લઇ જુદા જુદા સ્થળો એ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે.