નવી દિલ્લીઃ ગયા અઠવાડિયાએ ઉનાના દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દો માયાવતીએ રાજ્યસભામાં ઉઠાવતા આ મુદ્દે ભારે હોબાળો મચી ગયો છે. ત્યારે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારને રાજકીય પાર્ટીઓએ વખોડી કાઢ્યું છે. એટલું જ નહીં, ઉનાના પીડિત દલિતોને મળવા માટે આજે આનંદીબેન પટેલ પણ સમઢિયાળા પહોંચ્યા છે, ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, આવતી કાલે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉનાના પીડિત દલિત યુવકોને મળવા આવવાના છે.


રાહુલ ગાંધી આવતી કાલે સવારે 11.30 વાગ્યે દિવ આવશે. ત્યાંથી 12.30 વાગ્યે રોડથી ઉના થઈને સમઢિયાળા પહોંચશે અને પીડિત દલિત યુવાનો અને તેમના પરિવારને મળશે. આ પછી બપોરે 2.30 વાગ્યે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દલિત યુવકોને મળશે અને ત્યાંથી દિલ્લી પરત ફરશે.