નવી દિલ્હીઃ દેશભરમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર જામી ગયું છે. હવામાન ખાતાએ પણ આનંદના સમાચાર આપ્યા છે કે દેશમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 100 ટકા વરસાદ થશે એટલે કે ચોમાસુ સામાન્ય રહેશે. જોકે, તેમાં 8 ટકાનો વધારો કે ઘટાડો થઈ શકે છે. અલ નીનોની અસર ઘટતા સારું ચોમાસુ બેઠું છે. માત્ર ઓગસ્ટ મહિનાના વરસાદની વાત કરીએ તો તે 99 ટકા રહેવાની શક્યતા છે. તેમાં પણ 9 ટકાનો ઘટાડો કે વધારો થઈ શકે છે.


હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ ગુરુવારે જણાવ્યું કે, બંગળાની ખાડીના ઉત્તર ભાગમાં લો પ્રેસર ઊભું થયું હોવાથી આગામી બે સપ્તાહમાં સારો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ગુરુવારથી સતત 3 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. માછીમારોને આગામી કેટલાક દિવસ સુધી દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ મધ્યપ્રદેશમાં પણ 4 ઓગસ્ટ પછી ધીમો વરસાદ શરૂ થશે તેમ પણ જણાવાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત, કોંકણ, ગોવા, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણાના અલગ-અલગ ભાગોમાં 2 ઓગસ્ટે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 3 ઓગસ્ટે પણ ભારે વરસાદ પડવાનું એલર્ટ આપ્યું છે.

4 ઓગસ્ટની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ, કોંકણ અને ગોવાના કેટલાક સ્થાનોમાં ભારે વરસાદ પડી શકે છે. તો, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે હવામાન વિભાગ મુજબ, 5 ઓગસ્ટે પંજાબ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને ઓડિશાના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.