ગાંધીનગર: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.  દાહોદ,મહિસાગર,ગીર સોમનાથ, પોરબંદરમાં સામાન્ય વરસાદ પડશે. 31 મેના કેરળમાં ચોમાસાનું આગમન થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. આગામી ત્રણ દિવસમાં મોનસૂન કેરળમાં પ્રવેશે તેવી હવામાન વિભાગની આગાહી છે.  ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસુ બેસે તેવી શક્યતા છે.   દેશના દક્ષિણના રાજ્યોમાં મોનસૂન સમયથી પહેલા પહોંચે તેવી શક્યતા છે.

Continues below advertisement


હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં ચાર-પાંચ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને ત્યારબાદ ગરમીમાં વધારો થઈ શકે છે. હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવી રહ્યા છે. પવન, ભેજ અને બીજા પરિબળોના કારણે વરસાદ વરસવાનો સંયોગ સર્જાયો છે. જેથી વરસાદની સંભાવના નકારી ના શકાય.


ઉલ્લેખનીય છે કે, ગત 17 મેના રોજ તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં કહેર વર્તાવ્યો હતો. વાવાઝોડાને કારણે રાજ્યમાં ખેતી અને વીજ પુરવઠાને ભારે નુકસાન થયું છે. બીજી તરફ અનેક વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. હજી પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ નથી ત્યાં તો વધુ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.


ગુરુવારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. મહેસાણાનાઉંઝા સહિત કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોને નુકસાનની શક્યતા છે.



તો આ બાજુ બનાસકાંઠા જિલ્લાના કાંકેરજ, થરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક શરુ થયેલા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉનાળું પાકને નુકસાન થવાની શક્યતા છે.



તો આ બાજુ પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ ગુરુવારે વરસાદ વરસ્યો હતો. ગુરુવારે પાટણના બાલીસણા, સંડેર, રણુજ સહિતના વિસ્તારમાં એકાએક ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથેના વરસાદના કારણે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તો અચાનક વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ઉનાળું પાકને નુકસાનની શક્યતા છે.