અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી 24 કલાક બાદથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠે 30 થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. 

અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે વધુમાં  હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે.  અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના 207 જળાશયોમાં 54 ટકા જળ સંગ્રહ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 11 જુલાઈ-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.55  ટકા જળ સંગ્રહ હતો.

7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

આજે રાજ્યના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આજે પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, વડોદરા અને ભરૂચમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેના પગલે ખેતીની પાકને લાભ થશે.

આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં કેવો વરસાદ?

12 જુલાઈ: મહીસાગર, દાહોદ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં 'યલો એલર્ટ' છે.13 જુલાઈ: અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં 'યલો એલર્ટ' રહેશે.

14 જુલાઈ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં 'યલો એલર્ટ' ની આગાહી છે.15 જુલાઈ: બનાસકાંઠા અને સાબરકાંઠામાં 'યલો એલર્ટ' રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાનું પ્રમાણ 12 જૂન સુધીમાં ઓછું રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે.બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર મધ્યપ્રદેશ બાજુ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ થશે. 12થી 14 જુલાઇની આસપાસ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.