અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદ યથાવત છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. કમોસમી વરસાદથી ખેડૂતો પણ પરેશાન થઈ ગયા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આજથી 24 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે.  આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત 18 જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  આવતીકાલે 20 જિલ્લામાં છુટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

આગામી 7 દિવસ કરાઈ છે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ છુટા છવાયા વરસાદની સંભાવના છે.  ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે આ કારણે વરસાદ વરસી રહ્યો છે.  આ વખતે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલા થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  અમદાવાદ અને ગાંધીનગર તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે.  

આજે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી લઈ સામાન્ય વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી,ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે.
 
હજુ પણ રાજ્ય પર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમના કારણે 22 મેથી ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે.

કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં

કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો  અંદાજ છે.  પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. હાલ તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.  

સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચ્યા પછી, ચોમાસુ 8 જુલાઈ સુધીમાં અન્ય રાજ્યોને આવરી લે છે, એમ IMD એ જણાવ્યું હતું. 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાન થઈને પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થાય છે.

2025માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે

હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં કરેલી આગાહીમાં આશા વ્યક્ત કરી હતી કે 2025માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ કારણે અલ નીનોની અસર નકારી કાઢવામાં આવી રહી છે, કારણ કે અલ નીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી રહ્યો છે.