Rain Alert:  આજથી નવરાત્રિની શરુઆત થઈ ગઈ છે. નવરાત્રિના પ્રથમ દિવસે હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે.  હવામાન વિભાગની આગાહીને કારણે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં વધારો થયો છે.  નવરાત્રિના પ્રથમ નોરતે જ રાજ્યના 6  જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું  યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભરૂચ, નર્મદા, વલસાડ, તાપી, નવસારીનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. 

Continues below advertisement

રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે

રાજ્યમાં મેઘરાજા ફરી એકવાર જમાવટ કરશે. ચોમાસાની વિદાય વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે આજે પ્રથમ નોરતાએ દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીના પગલે ગરબાના આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે. 

Continues below advertisement

નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવના

હવામાન વિભાગે આગામી 24 કલાક થંડરસ્ટ્રોમની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ચોમાસુ અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે. આ કારણે નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. ​અણધાર્યા વરસાદને કારણે શેરી ગરબા અને સોસાયટીના આયોજકોથી માંડીને મોટા કોમર્શિયલ ગરબાના આયોજકો પણ ચિંતામાં જોવા મળી રહ્યાં છે.

નવરાત્રિમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ નવરાત્રિમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર,  ગરબામાં વરસાદ વિલન બની શકે છે. ખાસ કરીને 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.  નવરાત્રિના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. બંગાળ ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને  દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  

અંબાલાલ પટેલના આંકલન મુજબ,  મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.  રાજકોટ-હળવદ-સુરેંદ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છના અનેક વિસ્તારોમાં પણ  વરસાદનું અનુમાન છે. વડોદરા, નડિયાદ, કપડવંજમાં પણ વરસાદનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું  છે.  10થી 12 ઓક્ટોબરે પણ  વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે,  જેના કારણે દક્ષિણ પૂર્વીય તટો પર 100થી 120 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડું બનવાનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે.