ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યું અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાતાવરણ સૂકું રહેશે. જો કે 9 અને 10 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે.  9 અને 10 જૂને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં માવઠું થશે.


અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની સંભાવનાં છે.  સુરત,વલસાડ,નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  


ભાવનગર અને અમરેલીમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી 12 કલાક બાદ વાવાઝોડુ બનવાની સંભાવના છે.  દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.  તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.


કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકશાન


બનાસકાંઠા જિલ્લામાં સતત કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના ખેતરમાં ભારે નુકશાન થવા પામ્યું છે.  પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બાજરી અને મગફળીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે.


હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ ગતરાત્રિએ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાના કારણે જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે.  મહત્વની વાત એ છે કે સતત એક મહિનામાં ત્રીજીવાર  વીજળીના કડાકા-ભડાકા  સાથે મોડી રાત્રે કમોસમી વરસાદ થવાના કારણે પાલનપુર નજીક આવેલ ગણેશપુરા વિસ્તારના ખેડૂતના ખેતરોમાં ઉભેલા બાજરી તેમજ મગફળીના પાકનું વાવેતર કરેલું હતું જે પાક તૈયાર થઈ ગયો હતો તે કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતના મોંઢામાં આવવાનો કોળિયો છીનવાતા જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે.  જો કે અત્યારે તો ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ સામે આવી છે.  હાલ તો જે ખેડૂતોના ખેતરમાં પાકનું નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. 


ખેડૂતે કહ્યું કે  સતત કમોસમી વરસાદ થવાના કારણે  ખેતરમાં 14 જેટલા વીઘામાં પાકનું વાવેતર કર્યું હતું જે પાકનું ખૂબ જ બગાડ થયો છે તો અમને સરકાર સહાય આપે તેવી માંગ છે.