Weather Update:રાજ્યમાં આજથી ગાજવીજ સાથે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં કરવામાં આવી છે.  રાજ્યમાં ગરમી વચ્ચે હવે વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગે આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરી છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય ટ્રફ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.. આજે બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Continues below advertisement
Continues below advertisement

મહીસાગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લુણાવાડા અને સંતરામપુર સહિતના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. બાલાસિનોર, ખાનપુર અને વિરપુર વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અને 30 મેથી 4 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે.અંબાલાલ પટેલના અનુમાન મુજબ 7 અને 8 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ દિવસોમાં વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બને તો કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે 4 જૂન સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2 ઈંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં 1 ઈંચથી વધુ વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે, જ્યારે વડોદરા અને મહીસાગરમાં પણ એક ઈંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30 અને 31 મે બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટી શકે છે અને લોકોને રાહત મળી શકે છે.

આ પણ વાંચો: Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી

ચોમાસા અંગે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

બીજી તરફ ભારતીય હવામાન વિભાગે ચાલુ વર્ષના ચોમાસાને લઈને ચિંતાજનક અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગના અંદાજ મુજબ અલ નીનોની અસરને કારણે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે અને સરેરાશ કરતાં આશરે 90 ટકા વરસાદ થવાની શક્યતા છે. વિભાગે ગુજરાત સહિત દેશના આઠ રાજ્યોમાં જૂન મહિનામાં પણ હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે. ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં અલ નીનોની અસરના કારણે વાતાવરણમાં અણધાર્યા ફેરફારો જોવા મળી શકે છે. નબળા ચોમાસાના કારણે કૃષિ ઉત્પાદન પર અસર થવાની અને મોંઘવારી વધવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેરળમાં ચોમાસાનું વહેલું આગમન

આ તરફ કેરળમાં આ વર્ષે ચોમાસાનું આગમન સામાન્ય સમય કરતાં વહેલું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સેટેલાઇટ તસવીરોમાં અરબી સમુદ્ર અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં વાદળોનો ઘેરાવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. દેશભરમાં એકસાથે વરસાદની બે મોટી સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે અને વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે.