હવામામ વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસશે વરસાદ. તેમાં પણ 28 અને 29 તારીખે ધોધમાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે 28 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ. જ્યારે 29 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વરસશે ધોધમાર વરસાદની આગાહી છે.


હવામાન વિભાગના મતે અરબ સાગર પર સર્જાયેલા લૉ પ્રેશરના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.


આજે બનાસકાંઠા, નર્મદા, છોટાઉદેપુર, તો મંગળવારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ વરસી શકે છે. તો બુધવારે નવસારી, વલસાડ, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે


ભાવનગર વરસાદ


વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં મોડી રાત્રે વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદ પડ્યો છે. શહેરમાં સરિતા સોસાયટી, હાદાનગર, ચિત્ર, ફુલાસર, કાળાનાળા, ક્રેન્સ્ટ સર્કલ, કળિયાબીડ, સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. તો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી છે. શહેર વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. પાલીતાણા, સિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.


સીઝનનો 82.40 ટકા વરસાદ


રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેના પર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 82 ટકા અને મધ્ય ગુજરાતમાં 74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો છે.